અમદાવાદઃ મહેમદાવાદમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર ભારત પછી હવે એશિયાનું સૌથી મોટું ગણેશ મંદિર બની ગયું છે. આ મંદિરને એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. તાજેતરમાં મંદિરના પરિસરમાં યોજાયેલા સમારોહમાં આ ખિતાબ એનાયત કરાયો હતો. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, મંદિરના ટ્રસ્ટીઓ તેમ જ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. આ સાથે મંદિર દ્વારા દત્તક લેવાયેલી દીકરીઓને પણ બોલાવવામાં આવી હતી. ખિતાબ મળતાં મંદિરમાં 51 કિલો લાડુની પ્રસાદી પણ અર્પણ કરાઈ હતી. મંદિરમાં દર રવિવારે અને મંગળવારે 5 હજારથી 10 હજાર લોકો દર્શન માટે આવે છે. મંદિર દ્વારા ભક્તોને લાડુ અને મોહનથાળની પ્રસાદી આપવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયન ટેક્નોલોજીના ઉપયોગથી અલૌકિક ડિઝાઇન
ડિઝાઇન માટે રિવેટ સોફ્ટવેરનો ઉપયોગ કરાયો છે. ગણેશ ભગવાનના મંદિરમાં ક્યાંય સિમેન્ટ કે લોખંડ વપરાયું નથી, પરંતુ જમીનની 20 ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એક જ શિલા પર તે ઊભું કરાયું છે. આ મંદિરમાં વિશ્વના અન્ય 10 જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિઓની પ્રતિકૃતિ પણ સ્થાપિત કરવામાં આવી છે. પાંચ માળના આ મંદિરમાં બીજા માળે ભક્તો માટે ભજન કીર્તન કરવાની સુવિધા છે. અહીં સત્સંગ માટે ખાસ હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.