અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ - મેમનગર ખાતે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની ખૂબ જ ભવ્ય અને ઉત્સાહસભર ઉજવણી કરાઇ હતી. પ.પૂ. ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પ.પૂ. પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની દિવ્ય ઉપસ્થિતિમાં યોજાયેલા આ મહોત્સવમાં વિશાળ સંખ્યામાં ભક્તજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણીનું મુખ્ય આકર્ષણ ગુરુકુળના 500 વિદ્યાર્થીઓ દ્વારા સતત અઢી કલાક સુધી રજૂ કરાયેલો દેશભક્તિથી સભર કાર્યક્રમ હતો, જેમાં મહાભારતના વીર અભિમન્યુથી લઈને ભારતીય વાયુસેનાના ફાઈટર પાયલોટ અભિનંદનની શૂરવીરતા તેમજ વીર સંભાજીના પરાક્રમોનું અદ્ભુત નાટ્યાત્મક પ્રસ્તુતી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ બોમ્બે પીટી, માસ પરેડ, યોગાસન અને પિરામિડ જેવા વિવિધ શારીરિક કૌશલ્યો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એમાં પણ જ્યારે દેશભક્તિના ગીત સાથે 200 જેટલા બાળકોએ સાથે મળી સમુદ્રમાં ઊઠે એવી લહેરો ઉત્પન્ન કરીને સૌને અચંબિત કરી દીધા હતા. આ પ્રસંગે પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામીએ બાળકોની પ્રસ્તુતિને વધાવતા સંદેશ આપ્યો હતો કે આઝાદી અનેક બલિદાનો પછી મળી છે, અને દેશનું ભવિષ્ય એવા આ વિદ્યાર્થીઓએ જ પોતાની ઊંચી ઉડાનો દ્વારા આ આઝાદીને જાળવી રાખવાની છે.


