યુકેમાં મંદિરો તથા હિન્દુ સેન્ટર બંધ, કાર્યક્રમો રદ

Wednesday 25th March 2020 03:27 EDT
 
 

લંડનઃ કોરોના વાઇરસને પ્રસારને અટકાવવાના ભાગરૂપે સરકારની માર્ગદર્શિકા અનુસાર યુકેમાં આવેલા તમામ મંદિરો તથા હિન્દુ સેન્ટર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફક્ત મંદિરોમાં રાબેતા મુજબના દર્શન ચાલુ છે. જોકે ભક્તોને ઓનલાઇન દર્શન કરવા અનુરોધ કરાયો છે.

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટરમાં તમામ કાર્યક્રમ રદ

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે ચૈત્ર નવરાત્રી દરમીયાન તા.૨૫ માર્ચથી બીજી એપ્રિલ સુધી યોજાનાર સંધ્યાકાળનાં ભજન -કિર્તન અને પ્રસાદનું આયોજન મોકૂફ રખાયું છે. કોરોના વાઇરસના રોગચાળાને પગલે સરકારની માર્ગદર્શિકા અનુસાર આ પગલાં લેવામાં આવી રહ્યાં હોવાનું સંસ્થા દ્વારા જણાવાયું છે. મંદિર રાબેતા મુજબ દર્શન માટે દરરોજ સવારના ૮થી સાંજના ૮ સુધી ખુલ્લું રહેશે. સંસ્થા દ્વારા તમામ કાર્યક્રમો, ઉત્સવોની સાથે હોલ બુકિંગ અને તમામ વર્ગ પણ રદ કરાયા છે. સંસ્થા દ્વારા મંદિરે આવનારાઓને આરોગ્ય સલામતી માટે કેટલાર નિર્દેશોનું પાલન કરવા પણ અનુરોધ કરાયો છે. જેમાં મંદિરમાં પ્રવેશતા ભક્તોએ પોતાના હાથ સારી રીતે (૨૦ સેકન્ડ સુધી) સાબુથી ધોવાના રહેશે. હાથ ધોવાની વ્યવસ્થા મંદિર પરિસરમાં કરાઈ છે. જો કોઇની તબિયત ખરાબ હોય કે ખાંસી-શરદી કે તાવના લક્ષણ હોય તો તેમણે મંદિરની મુલાકાત ટાળવી જોઇએ. આગામી સૂચના સુધી આ વ્યવસ્થા અમલમાં રહેશે. દર રવિવારના સત્સંગ, દર ગુરુવારે યોજાતા બહેનોના સત્સંગ તથા સિનીયર સિટિઝન્સ એસેમ્બલી તાત્કાલિક અસરથી રદ કરાઈ છે. હાથનો સંપર્ક ટાળવા ચરણામૃત નહિ અપાય તથા તિલક પણ નહિ કરાય. વધુ જાણકારી માટે 020 8553 5471 પર સંપર્ક કરવા જણાવાયું છે.

નહેરુ સેન્ટર / હાઈ કમિશન ઓફ ઈન્ડિયા, લંડન

નોવેલ કોરોના વાઇરસના રોગચાળા સામે તકેદારીનાં પગલારૂપે આગામી ૧૫મી એપ્રિલ ૨૦૨૦ સુધી તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. આ કાર્યક્રમો આગામી સમયે યોગ્ય દિવસોમાં ગોઠવવામાં આવશે.

શ્રીજી ધામ હવેલી, મેલ્ટન રોડ, લેસ્ટર

લેસ્ટરમાં આવેલ શ્રીજી ધામ હવેલી બંધ રહેશે. કોરોના વાઇરસના રોગચાળાને ધ્યાને લઇ નવી જાહેરાત નહિ થાય ત્યાં સુધી જનતા માટે પ્રવેશ-દર્શન બંધ રહેશે. હવેલીમાં શ્રી ઠાકોરજીના દર્શન અને પૂજા રાબેતા મુજબ ચાલુ રહેશે.

આદ્યશક્તિ માતાજી મંદિર

આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે આયોજીત હનુમાન ચાલીસા - ભજન- આરતી અને મહાપ્રસાદ સહિતના તમામ કાર્યક્રમ કોરોના વાઈરસની મહામારીને લઇને રદ કરાયા છે.

હનુમાન ચાલીસા મહાયજ્ઞ મોકૂફ

પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા. ૨૯.૩.૨૦ ના રોજ સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે યોજાનાર ૧૦૮ હનુમાન ચાલીસા મહાયજ્ઞ મોકૂફ રખાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter