દુનિયાભરમાં આજે અનેક દેશ યુદ્ધોમાં અટવાયેલા છે ત્યારે ભારતીય તીર્થંકરોના ઉપદેશ વધુ પ્રાસંગિક બન્યા છે. દુનિયાએ તેમને અનુસરવાની જરૂર છે. આજે વિભાજિત વિશ્વમાં ભારત ‘વિશ્વ બંધુ' તરીકે પોતાની જગ્યા બનાવી રહ્યું છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. દેશમાં આજે ભગવાન મહાવીરના 2550મા નિર્વાણ મહોત્સવની ઊજવણી થઈ હતી ત્યારે દિલ્હીના પ્રગતિ મેદાનમાં સ્થિત ભારત મંડપમમાં વડાપ્રધાન મોદીએ જૈન સમાજને સંબોધન કરતા દુનિયાની સૌથી જૂની અને જીવિત સભ્યતા એકમાત્ર ભારત હોવાનું જણાવ્યું હતું. ભારત હવે દુનિયાની સમસ્યાઓના સમાધાનરૂપે સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને વૈશ્વિક મંચ પર રજૂ કરી રહ્યો છે પીએમ મોદીએ આપ્રસંગે એક સ્મારક પોસ્ટ ટિકિટ અને એક સિક્કો પણ બહાર પાડ્યા હતા. આ સમારંભમાં જૈન સંતોએ પીએમ મોદીને ‘વિજયી ભવ’ના આશીર્વાદ આપ્યા હતા અને જૈન સમાજે ‘હર બાર મોદી કા પરિવાર’નો સંકલ્પ લીધો હતો.