અમદાવાદ: સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા હિમાલયના મહર્ષિ શિવકૃપાનંદ સ્વામીજી છેલ્લાં 17 વર્ષથી સમર્પણ આશ્રમ-દાંડીમાં 45 દિવસીય ગહન ધ્યાનસાધનાનું અનુષ્ઠાન કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિના પાવન પર્વ પર આ ગહન ધ્યાન અનુષ્ઠાન પૂર્ણ થયું હતું. પૂજ્ય સ્વામીજીનાં દર્શન અને આશીર્વચન માટે આતુર વિશ્વભરમાંથી 25,000થી વધુ સાધકો આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. પૂજ્ય સ્વામીજીએ ‘વસુધૈવ કુટુંબકમ્’ની સંલ્પના, મનુષ્યધર્મ, આભામંડળ, મનુષ્યજન્મ આ તમામ વિષયો વિશે પણ માર્ગદર્શન કર્યું હતું.
‘ગુરુતત્ત્વ’ વૈશ્વિક મંચ દ્વારા આ વિરાટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વહેલી સવારે 108 કુંડીય યજ્ઞની સાથે આ પાવન દિવસનો પ્રારંભ થયો હતો. સાંજના સમયે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. જેમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરીયા, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્ય જે.વી. કાકડિયા, ગઢચિરૌલીના ડીઆઈજી સંદીપ પાટીલ, વરિષ્ઠ ન્યાયાધીશ જિમી મહેતા, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (ડીઆરડીઓ) - પૂણેના ડાયરેક્ટર પ્રદીપ કુરુલકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેટલીક સાંસ્કૃતિક કૃતિ પ્રસ્તુત કરાઈ હતી. પૂજ્ય સ્વામીજી અને વંદનીય ગુરુમાનું આગમન થયું હતું. 45 દિવસના લાંબા અંતરાલ બાદ ગુરુદર્શન પામીને સાધકો ધન્યતા અનુભવી હતી.
શિવકૃપાનંદ સ્વામીજીએ પ્રવચનમાં જણાવ્યું હતું, ‘મહાશિવરાત્રિના પાવન દિને લોકો શિવમંદિરમાં જાય છે, જ્યારે કે તમે સૌ અહીં આશ્રમમાં આવ્યા છો તો એનો અર્થ એ છે કે તમે અહીં શિવલિંગનાં દર્શન માટે નહીં, પરંતુ શિવલિંગની અનુભૂતિ કરવા માટે આવ્યા છો. જો તમે સૌ આજે આત્મા બનીને કાર્યક્રમમાં સામેલ થશો તો અનુભૂતિ અવશ્ય પામી શકશો.