લંડનનું જગન્નાથ મંદિર ભાવિકો - પર્યટકો માટે સંસ્કૃતિનું કેન્દ્ર અને આકર્ષણ બનશે

પુરીના મહારાજા અને મહારાણીની વિશેષ ઉપસ્થિતિઃ લંડનમાં પ્રથમ શ્રી જગન્નાથ કન્વેન્શન યોજાયું

Wednesday 03rd May 2023 06:03 EDT
 
 

લંડનઃ શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) દ્વારા 23 એપ્રિલ 2023, રવિવારના રોજ નવનાત સેન્ટર ખાતે પ્રથમ શ્રી જગન્નાથ કન્વેન્શન લંડનનું આયોજન કરાયું હતું. આ સંમેલનમાં લંડનની મુલાકાતે આવેલા પુરીના મહારાજા, પ્રભુ જગન્નાથના આદ્ય સેવક અને પુરીના પુરુષોત્તમ ક્ષેત્રસ્થિત શ્રી મંદિરમાં શ્રી જગન્નાથ ટેમ્પલ મેનેજિંગ કમિટીના ચેરમેન ગજપતિ મહારાજ દિવ્ય સિંહ દેવ અને મહારાણી લીલાવતી પટ્ટામહાદેઈની વિશેષ ઉપસ્થિતિ હતી.

ગજપતિ મહારાજે ચાવીરૂપ વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથ સાર્વત્રિક પરમાત્મા છે. બૌદ્ધ, જૈન અને શીખો સહિત વિવિધ ધાર્મિક સંપ્રદાયો દ્વારા પોતાની રીતે તેમની પૂજા કરાય છે. ભગવાન જગન્નાથની પરંપરા ઋગ્વેદના સૂત્ર ‘એકમ્ સત વિપ્રઃ બહુધા વદન્તિ’ (સત્ય એક જ છે તેમ વિવિધ વિદ્વાનો કહે છે)નો પુનરુચ્ચાર કરે છે.

ગજપતિ મહારાજે ભગવાન જગન્નાથની પરંપરાઓ અને પુરુષોત્તમ ક્ષેત્રના મહત્ત્વ વિશે જણાવ્યું હતું. SJSUKના આધ્યાત્મિક માર્ગદર્શક ગજપતિ મહારાજે જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથના આશીર્વાદથી લંડનમાં શ્રી જગન્નાથ મંદિરના ભવ્ય નિર્માણની શ્રી જગન્નાથ સોસાયટી યુકેની પ્રતિબદ્ધતા ટુંક સમયમાં જ વાસ્તવિકતા બનશે. ગજપતિ મહારાજે જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથની પૂજાનો વ્યાપ ભારત અને વિશ્વમાં વધી રહ્યો છે. તેમણે સનાતન ધર્મ, જગન્નાથ સંસ્કૃતિ અને વિદેશસ્થિત ભાવિકોમાં આધ્યાત્મિકતા સંબંધે ઓડિયન્સના પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા હતા.

અગાઉ, SJSUKના ચેરપર્સન ડો. સહદેવ સ્વૈને સંમેલનનું સ્વાગત કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગજપતિ મહારાજના માર્ગદર્શન હેઠળ શ્રી જગન્નાથ મંદિર લંડન યુરોપમાં જગન્નાથ સંસ્કૃતિનું કેન્દ્ર અને વિશ્વના હજારો ભાવિકો અને પર્યટકો માટે આકર્ષણ બનશે. ડો. સ્વૈને શ્રી જગન્નાથ મંદિર લંડનના મુખ્ય દાતાઓ વૈશ્વિક ભારતીય રોકાણકાર અને FINNEST ગ્રૂપ ઓફ કંપનીઝના ચેરમેન શ્રી બિશ્વનાથ પટનાયક અને FINNEST UKના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અરુણ કારનો પરિચય આપી તેમને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે SJSUKના ટ્રસ્ટીઓ દ્વારા યુકેસ્થિત ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી સુજિત ઘોષ; જાણીતા લેખક, ભારતીય હાઈ કમિશનના મિનિસ્ટર (સંસ્કૃતિ અને શિક્ષણ) અને નેહરુ સેન્ટરના ડાયરેક્ટર શ્રી અમિશ ત્રિપાઠી, હિન્દુ ફોરમ બ્રિટનના ચેરપર્સન શ્રીમતી તૃપ્તિ પટેલ; બ્રહ્મર્ષિ મિશન યુકેના સ્વામિની સૂર્ય પ્રભા દીદી અને સ્વામિની ભક્તિ પ્રિયા દીદી સહિત અનેક ઉપસ્થિત મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું. શ્રી જગન્નાથ ટેમ્પલ બાથ, યુકે અને આયર્લેન્ડના ડબ્લિનસ્થિત જગન્નાથ ઈનિશિયેટિવ ઓફ આઈરિશ ઓડિયા એસોસિયેશન સહિત યુકે અને આયર્લેન્ડના હિન્દુ મંદિરોના પ્રતિનિધિઓની સેવાની પણ કદર કરાઈ હતી. આ પ્રસંગે નલિની ટીવીના સિદ્ધેશ્વર પાન્ડા દ્વારા સંપાદિત ‘ધ જર્ની ઓફ શ્રી જગન્નાથ સોસાયટી’ નામે ટુંકી ડોક્યુમેન્ટરી પણ રીલિઝ કરવામાં આવી હતી.

SJSUKના ટ્રસ્ટીઓ શ્રી ભક્તા પાન્ડા, ડો. આદિત્ય સિંહ, ડો. સંતોષ પટનાયક, ડો. ચેતન શતપતિ, શ્રી સુકાન્તા સાહુ, શ્રીમતી અમીતા મિશ્રા, શ્રીમતી નિધિ કાર અને શ્રી અંજન મિશ્રાએ શ્રી જગન્નાથ મંદિર લંડનના નિર્માણમાં ઉદાર દાન અને સહકાર બદલ, શ્રી બિશ્વનાથ પટનાયક અને શ્રી અરુણ કારનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ત્રણ વર્ષ અગાઉ અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે SJSUKની સ્થાપના તેમજ ઈંગ્લેન્ડ અને વેલ્સના ચેરિટી કમિશનમાં રજિસ્ટ્રેશન થયું હતું. ભગવાન જગન્નાથની કૃપાથી ટ્રસ્ટની વૃદ્ધિ થઈ છે તેમજ આ ગાળામાં યુકે અને આયર્લેન્ડના મંદિરોમાં ભગવાન જગન્નાથ, ભગવાન બલરામ, દેવી સુભદ્રા અને દિવ્ય સુદર્શન ચક્રની ચતુર્ધા મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાઈ છે.

કન્વેન્શનનો આરંભ બ્રહ્મર્ષિ મિશન યુકે અને બ્રજ ગોપિકા સેવા મિશન યુકેના ભાવિકો દ્વારા કીર્તન સાથે કરાયો હતો. બેસિંગ્સ્ટોકના કલા, ધ આર્ટ્સના સુસ્મિતા પાટિ અને વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક ઓડિશી નૃત્ય રજૂ કરાયું હતું. ગીતાંજલિ એકેડેમી ઓફ ફાઈન આર્ટ્સ લિમિટેડ (GAOFAL)ના ગુરુ શ્રીમતી જયીતા ઘોષ અને તેમના બ્રિટિશ વિદ્યાર્થીઓ દ્વારા આદિ શંકરાચાર્ય રચિત જગન્નાથ અષ્ટકમ સહિત વિવિધ સુમધુર ભજનોની રજૂઆત થઈ હતી. પ્રસિદ્ધ અભિનેતા અને જાણીતા બોલીવૂડ પ્લેબેક સિંગર શ્રી આસિત ત્રિપાઠીએ પ્રભુ જગન્નાથના ગુણગાન કરતા ઓડિયા અને હિન્દી ભજનોથી ઓડિયન્સના દિલ ડોલાવ્યા હતા.

આ કાર્યક્રમના કોમ્પિઅરીંગની કામગીરી SJSUK ના ટ્રસ્ટી શ્રીમતી શુભાશ્રી થોટ્ટુન્ગાલે નિભાવી હતી. SJSUKના સેક્રેટરી ડો. પ્રકાશ ડેએ તમામ સ્પોન્સર્સ, દાતાઓ અને ઉપસ્થિત ભાવિકોનો આભાર માન્યો હતો. કાર્યક્રમના સમાપન સમયે ઉપસ્થિત ભાવિકોએ શ્રી જગન્નાથ મંદિર લંડનને વાસ્તવિકતા બનાવવા એક સંપ થઈને તમામ રીતે યોગદાન આપવા વચનબદ્ધતા દર્શાવી હતી. ભાવિકજનો પ્રભુનો સ્વાદિષ્ટ પ્રસાદ આરોગી હૃદયમાં આનંદ સાથે છૂટા પડ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter