લેસ્ટરના પ્રવેશદ્વારે નારબરો રોડ પર ભવ્ય જલિયાન પાઘડીનાં દર્શન સાથે વિશાળ ઇમારતનાં દર્શન થાય છે એ જલૃામ પ્રાર્થના મંદિરનો ૨૫મો સ્થાપના દિવસ તા. ૨૮ ઓકટોબર, ગુરૂવારે ઉજવાયો. એ પ્રસંગે લેસ્ટરના લોર્ડ મેયર કાઉન્સિલર દીપક બજાજ અને કાઉન્સિલરો સહિત લંડન અને યુ.કે.ના અન્ય શહેરો-નગરોમાંથી આમંત્રિત મહાનુભાવોએ હાજરી આપી હતી. આ શુભદિને મંદિર દ્વારા ઓર્ગન ડોનેશન સેન્ટરનો શુભારંભ કરાયો હતો જેનું લોર્ડ જીતેશ ગઢિયા, સર નિલેશભાઇ સામાણી તથા જ્હોન પોટ્ટુલો (ઇન્ટરીમ ચેર-NHSBT)ના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
આ ઉપરાંત મંદિરની સામે કોમ્યુનિટી સેન્ટરને "વીરબાઇ મા કોમ્યુનિટી સેન્ટર" નામાભિધાન કરાયું હતું જેનું વિધિવત ઉદઘાટન અનુપમ મિશન-મોગરીના પૂજ્ય અશ્વીનદાદાના વરદ હસ્તે કરવામાં આવ્યું. રસોઇ રાંધતા વીરભાઇ અને જલરામબાપા સદાવ્રત સેવા કરતા હોય એવી આરસપહાણની મનોહારી મૂર્તિના દાતા રજનીકાન્તભાઇ, જ્યોતિબેન, સૂરજ ઠકરાર પરિવાર તરફથી સેવા અપર્ણ કરાઇ છે.
ભરતભાઈ પટેલને તેમના પત્ની એવરીલે તેમની કિડની ડોનેટ કરી ત્યારથી ભરતભાઈ અને તેમના પત્ની એવરીલ પટેલ લેસ્ટરમાં ઓર્ગન ડોનેશન એટલે કે અંગ દાનની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા ખૂબ મહેનત કરી રહ્યા છે. કિડની ટ્રાન્સપ્લાન્ટને દસ વર્ષ પૂરા થયા તેની પણ તેમણે ઉજવણી કરી હતી. હિંદુ, જૈન અને BAMEકોમ્યુનિટીઝમાં ઓર્ગન ડોનેશન વિશે જાગ્રતિ ફેલાવવામાં તેમણે યુનિવર્સિટી હોસ્પિટલ્સ ઓફ લેસ્ટર અને રિનલ યુનિટ સાથે મળીને બહુ કામ કર્યું છે. અંગ દાન અથવા ઓર્ગન ડોનેશન માનવજાતની સેવાનો શ્રેષ્ઠ પ્રકાર હોવાથી આ સમર્પિત દંપતિ માટે જલારામ બાપા ઓર્ગન ડોનેશન સેન્ટર શરૂ થતાં તેમનું સ્વપ્ન સાકાર થયું હતું. આ પ્રસંગની ઉજવણી નિમિત્તે જલારામ મંદિરના ઈતિહાસના વર્ણવતું તેમજ લેસ્ટરમાં કોમ્યુનિટી માટે કામ કરતાં ઘણાં વોલન્ટિયરની વિગતો સાથેના સુવેનિયરનું વિમોચન કરાયું હતું.