નિસ્વાર્થ સેવા અને સમર્પણનું પ્રતીક વિનુભાઇ નકારજાના 80મા જન્મદિન પ્રસંગે અનુપમ મિશન ડેનહામ ખાતે ઉષ્માપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ વક્તાઓએ વિનુભાઇના જીવન-કવનને બિરદાવતા કહ્યું હતું કે છેલ્લા 48 વર્ષથી અનુપમ મિશન-યુકેના પ્રમુખ તરીકે જે નિષ્ઠા, અને દૃઢતા સાથે દુરંદેશીપૂર્ણ નેતૃત્વ પૂરું પાડ્યું છે તે અનુપમ મિશનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવી અમૂલ્ય સેવા છે. ઉલ્લેખનીય છે કે આજે યુકેમાં અનુપમ મિશન જે મજબૂત પાયા પર ઊભું છે, તેની પાછળ વિનુભાઇનો અવિરત પરિશ્રમ, ત્યાગ અને અખૂટ પ્રેમનો સિંહફાળો છે.
સેવાનો માર્ગ ક્યારેય સરળ હોતો નથી. અનેક વખત વિકટ પરિસ્થિતિ આવી, જ્યારે સંજોગો વિપરિત હતા, પડકારો મોટા હતા અને નિર્ણયો કઠિન હતા. પરંતુ વિનુભાઈ ક્યારેય ડગમગ્યા નહીં કારણ કે તેમના જીવનનો આધાર માત્ર એક જ હતો પૂજ્ય સંત ભગવંત સાહેબદાદા પ્રત્યેની અડગ નિષ્ઠા ને અખંડ વિશ્વાસ. ગુરુ પરનો વિશ્વાસ તેમને દરેક સંકટમાં અડીખમ રાખતો રહ્યો અને દરેક પડકારને અવસરમાં પરિવર્તિત કરવાની શક્તિ આપતો રહ્યો. પૂજ્ય સાહેબદાદાના દરેક સંકલ્પને પોતાનો સંકલ્પ માનીને તેમણે માત્ર સમય કે શ્રમ જ નહીં, પરંતુ પોતાનું ધન, ધામ અને સમગ્ર કુટુંબ પણ સત્સંગ સેવામાં સમર્પિત કર્યું છે. સાચા અર્થમાં તેમણે પોતાના જીવન દ્વારા બતાવ્યું છે કે ગુરુસેવા એ માત્ર કાર્ય નથી, પરંતુ જીવન જીવવાની એક દિવ્ય રીત છે. વિનુભાઈનું વ્યક્તિત્વ આપણને શીખવે છે કે જ્યારે જીવનમાં ગુરુની આજ્ઞા સર્વોપરી બની જાય, ત્યારે વ્યક્તિનું સમગ્ર અસ્તિત્વ લોક કલ્યાણનું સાધન બની જાય છે. તેમની વિનમ્રતા, સૌજન્ય, પ્રેમાળ સ્વભાવ અને સંગઠન શક્તિએ અસંખ્ય હરિભક્તોના જીવનને સ્પર્શ્યું છે. તેઓ માત્ર પ્રમુખ નથી, પણ કાર્યકરો માટે પ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક રહ્યા છે.
અનુપમ મિશન પરિવાર વતી વિનુભાઈ નકારજાને 80મા જન્મદિન નિમિત્તે અનેક સંતો, ભક્તોએ તેમને હાર્દિક અભિનંદન અને અનંત શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે ગુરુહરિ સાહેબદાદા ઉપરાંત પૂ. હિંમતસ્વામીજી, પૂજ્ય અશ્વિનદાદા, પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ, જયંતભાઇ કોટેચા, આશિતભાઇ કોટેચા, અશ્વિનભાઇ પોપટ, યોગેન્દ્રભાઈ પટેલ, ચિરાગ નકારજા, અભિપ્સા નકારજા વગેરેએ પ્રાસંગિક સંબોધન કરતાં વિનુભાઈને નિરામય સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, અખૂટ શક્તિ અને સતત ગુરુસેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. તેમજ તેઓ આવનારા વર્ષોમાં પણ આવા જ પ્રેમ, ઉત્સાહ અને સમર્પણ સાથે અનુપમ મિશનની સેવા કરતા રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી.


