અમદાવાદઃ શહેરમાં ખોડિયાર ગામ - ઘુમા ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવપૂર્ણ હાજરી આપી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કથા શ્રાવકોને ઉદ્બોધન કરતાં કહ્યું હતું કે, સત્સંગ એ માનવ જીવન માટે અનિવાર્ય છે. તેમણે નમ્રતાપૂર્વક સ્વીકાર્યું હતું કે જનતા દ્વારા પાડવામાં આવતી દરેક તાળી અને વ્યક્ત કરવામાં આવતો વિશ્વાસ સરકારની જવાબદારીમાં અનેકગણો વધારો કરે છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, જ્યારે પ્રજા અખૂટ વિશ્વાસ મૂકે છે ત્યારે એ વિશ્વાસને જાળવી રાખવાની નૈતિક જવાબદારી બની જાય છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે સૌને સાથે મળીને આગળ વધવા અને આ કાર્યમાં લીન થવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વરિષ્ઠ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભાગવત કથા એ માત્ર શ્રવણ નહીં પણ જીવનમાં ઉતારવાનું અમૃત છે. તેમણે સૌને કથાના સારમાંથી પ્રેરણા લઈ જીવનમાં સદગુણો ઉતારવા આહ્વાન કર્યું હતું. વિશ્વ ઉમિયાધામ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞમાં કથાકાર શ્રી રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજીએ કથાનું રસપાન કરાવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ ઉમિયાધામના આગેવાનો અને શ્રાવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


