નિયમિત પૂજા અને હવન સાથે ચિન્મય મિશન અમદાવાદના પરમધામ મંદિર ખાતે એક પ્રવૃત્તિ ૩૬૫ દિવસ ચાલતી હોય છે, એ છે નિત્ય સત્સંગ. જોકે કોરોનાકાળમાં સામાજિક અંતર અને સલામતીનાં કારણોસર આ સત્સંગનું ઑનલાઇન આયોજન થાય છે. હાલમાં ૧૭થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન શરણાગતિ વિષય પર સાત દિવસનો સત્સંગ યોજવામાં આવ્યો હતો. ફિલોસોફીમાં માસ્ટર્સની ડિગ્રી મેળવ્યા પછી ૨૦૦૨માં અધ્યાત્મ દ્વારા દેશનિર્માણની પ્રવૃત્તિઓ માટે ચિન્મય મિશનમાં જોડાયેલાં બ્રહ્મચારિણી અનુપમા ચૈતન્યજીએ શરણાગતિ વિશે હનુમાનજી, વિભીષણજી અને અન્ય ભક્તોનાં રસપ્રદ દૃષ્ટાંતો સાથે મનનીય પ્રવચન આપ્યું હતું. આ સત્સંગનું સંસ્થાના ફેસબુક પેજ પર જીવંત પ્રસારણ થયું હતું.