યંગ ઇન્ડિયન વેજીટેરીયન સોસાયટીના શ્રી નીતિનભાઇ મહેતા (ક્રોયડન)ના માતુશ્રી શાંતાબેન કાંતિલાલ મહેતાનું ટૂંકી બીમારી બાદ ૮૭ વર્ષની વયે તા. ૨૮-૪-૧૫ના રોજ ગુરૂવારે નિધન થયું છે. સદ્ગતને શ્રધ્ધાસુમન અર્પણ કરવા તા. ૩૦-૪-૧૫ ગુરૂવારના રોજ સાંજે ૭-૩૦થી ૯-૩૦ દરમિયાન આર્ચબિશપ લેનફ્રેન્ક એકેડેમી, મિચમ રોડ, ક્રોયડન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે તેમની અંતિમ વિધી શુક્રવાર તા. ૧-૫-૧૫ના રોજ બપોરે ૧૨-૪૫ કલાકે ક્રોયડન ક્રિમેટોરીયમ, મિચમ રોડ, ક્રોયડન ખાતે થશે.
સ્વ. શાંતાબેન મહેતાનો જન્મ સૌરાષ્ટ્રના જામજોધપુર ખાતે થયો હતો. તેઅો જૈન ધર્મમાં અગાધ શ્રધ્ધા ધરાવતા અને રોજ સવારે સૂર્યનારાયણ ભગવાનની પ્રાર્થના પણ કરતા હતા. તેમને ત્રણ સંતાનો હતા, કિરીટ મેહતા, નલિની કોઠારી અને નીતિન મહેતા જે પૈકી કિરીટભાઇનું ૨૦૦૮માં નિધન થયું હતું.
શાંતાબેન કિસુમુ - કેન્યા અને લંડનમાં પોતાના આદર સત્કાર માટે જાણીતા હતા. તેઅો રસોઇ કળામાં નિષ્ણાંત હતા અને ખૂબ જ સારુ અથાણું બનાવતા હતા. તેઅો ૭૦ વર્ષના લગ્નજીવનના સાથીસમા પતિ કાંતિલાલ મહેતા (૯૩), પુત્રી નલિનીબેન, પુત્ર નીતિન મહેતા, પૌત્ર-પૌત્રીઅો રાજન, રાકેશ, જ્યોતી, જાનકી, પારસ, કૃપા અને નિષ્મા તેમજ પ્રપૌત્ર નિવાન અને પ્રપૌત્રી બેલાને વિલાપ કરતા મૂકી ગયા છે. સંપર્ક: નીતિનભાઇ મહેતા 07910 875 908.