સનાતન ધર્મ તો કહે છે કે ‘સર્વે ભવન્તુ સુખિનઃ સહુ સુખી થાઓ.’

યુકે પાર્લામેન્ટમાં ગુરુદેવ સ્વામી પરમાનંદગિરિજી મહારાજ દ્વારા વિશ્વશાંતિનો ઉપદેશ

Wednesday 04th December 2024 04:11 EST
 
 

લંડનઃ પરમ શક્તિપીઠ ઓફ યુકે દ્વારા યુગપુરુષ મહામંડલેશ્વર ગુરુદેવ સ્વામી પરમાનંદગિરિજી મહારાજની ઉપસ્થિતિમાં યુકે પાર્લામેન્ટ ખાતે ‘વર્લ્ડ પીસ એટ ક્રોસરોડ્સઃ ઓફરિંગ ફ્રોમ ધ સનાતન ધર્મ’ વિષય પર મેળાવડાનું આયોજન કરાયું હતું. બોબ બ્લેકમેન MP એ પૂજ્ય ગુરુદેવનું સ્વાગત કરવા સાથે કહ્યું હતું કે વિશ્વની વર્તમાન અરાજકતાપૂર્ણ સ્થિતિમાં ગુરુદેવનો ઉપદેશ યોગ્ય છે. મંદિરોના ટ્રસ્ટીઓ, સામાજિક સંસ્થાઓના સભ્યો, શીખ કોમ્યુનિટીના મિત્રો સહિત વિવિધ દેશો અને ધર્મોમાંથી આવેલા ઓડિયન્સને વિશ્વશાંતિને પ્રોત્સાહિત કરતો ઉપદેશ સાંભળવા મળ્યો હતો.

સ્વામી પરમાનંદગિરિજી મહારાજની જીવનયાત્રા નિઃસ્વાર્થ સેવા, અગાધ સમર્પણ તેમજ સત્ય અને જ્ઞાનના માર્ગ પ્રત્યે અવિરત પ્રતિબદ્ધતાનું મૂર્ત સ્વરૂપ છે. તેમના ઉપદેશોના મૂળ આપણા પવિત્ર ધર્મશાસ્ત્રોના પ્રાચીન જ્ઞાનમાં છે. તેમનો સંદેશો એ હતો કે વિશ્વ શાંતિ તરફ લઈ જવાનો એકમાત્ર માર્ગ ધર્મ છે. તેઓએ જણાવ્યું હતું કે,‘ આપણી ક્ષમતાઓ વધી ગઈ હોવાથી વિશ્વશાંતિ જોખમમાં આવી પડી છે. સ્માર્ટ શસ્ત્રો અને અણુબોમ્બના વિકાસ સાથે માનવજાતના વિનાશનું જોખમ સાચી સંભાવના બની છે. અહીં સનાતન ધર્મ માર્ગદર્શન આપી શકે છે. સનાતન ધર્મ એમ કદી કહેતો નથી કે ‘હિન્દુ ભવન્તુ સુખિનઃ’ આપણે તો કહીએ છીએ કે ‘સર્વે ભવન્તુ સુખિનઃ સહુ સુખી થાઓ.’ ભારતમાં આપણે ધરતીને માતા કહીએ છીએ અને આપણે તેના સંતાનો છીએ. આથી, પર્યાવરણીય આપત્તિ અથવા વિનાશક યુદ્ધોથી ધરતીને બચાવવી તે આપણું કર્તવ્ય છે. આ સનાતન ધર્મનો ઉપદેશ છે. ઘૃણા અને શત્રુતા આપણા વિનાશનું મૂળ છે. અજ્ઞાન, અહંકાર, ક્રોધ, ઘૃણા તો લોકો, દેશ, ધર્મના વિભાજન અને આગળ જતાં યુદ્ધો તરફ દોરી જાય છે.’

તેઓએ ઉમેર્યું હતું કે,‘જો આપણે ધર્મનું રક્ષણ કરીશું તો ધર્મ આપણી રક્ષા કરશે. ભગવાન શ્રી રામચંદ્રજી કહે છે કે ધર્મનું પાલન એવો સેતુ છે જે વિશ્વના તમામ દૂષણોનો અંત લાવશે. આથી જ, અયોધ્યામાં રામ મંદિર શાંતિ અને સમજણનું સ્મારક છે. આ સર્વ સનાતન ધર્મનો ઉપદેશ છે.’ તેમણે ધાર્મિક વિચાર અને પાલન વિશ્વને વિનાશમાંથી બચાવશે અને વિશ્વશાંતિ તરફ લઈ જતા માર્ગ છે. આપણે સહુએ ધર્મના છત્ર હેઠળ એકત્ર થઈ, મતભેદો મિટાવી વિશ્વશાંતિ માટે ધાર્મિક મૂલ્યોને પ્રસારિત કરવા જોઈએ તેમ સહુને અનુરોધ કર્યો હતો.

પૂજ્ય ગુરુદેવે નાની વયમાં જ સ્વામી અખંડાનંદજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા લીધી હતી. તેઓ અદ્વૈત વેદાંતના જ્ઞાતા છે. ગુરુદેવે યોગ અને વેદાંત પર 150થી વધુ પુસ્તક લખ્યા છે. તેમના માનવતાવાદી પ્રોજેક્ટ્સમાં વંચિતો માટે શાળાઓ, હોસ્પિટલો, આશ્રમ, વૃદ્ધો માટે કેર હોમ્સ અને ગૌશાળાઓનો સમાવેશ થાય છે. પૂજ્ય ગુરુદેવજી શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટીગણમાં એક છે. સાધ્વીજી ઋતંભરા, દીદીમા પૂજ્ય ગુરુદેવના શિષ્યા છે. પૂજ્ય ગુરુદેવની યુકે પ્રવચનયાત્રામાં જોડાયેલા સ્વામી જ્યોતિર્મયાનંદજીએ પણ તમામ હિન્દુઓને એકતાની શક્તિનો સંદેશો આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter