સનાતન ધર્મના સંરક્ષણ અને એકતા માટે સંતશક્તિનું મહામંથન

Saturday 11th April 2026 06:59 EDT
 
 

બેંગ્લુરુઃ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના સંરક્ષણ કાજે કાર્યરત દેશની સર્વોચ્ચ સંસ્થા ‘હિન્દુ ધર્મ આચાર્ય સભા’નું નવમું અધિવેશન કર્ણાટકની રાજધાની બેંગ્લોર ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું. આચાર્ય સભાના ટ્રસ્ટી તથા આદિ ચૂનચૂનગિરિ મઠના વડા ધર્મગુરુ પૂજ્ય નિર્મળાનંદનાથજી મહારાજ આ અધિવેશનના મુખ્ય યજમાનપદે હતા. આર્ષ વિદ્યામંદિરના સુપ્રસિદ્ધ સંત સ્વામી દયાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા સ્થાપિત આ હિન્દુ ધર્મ આચાર્ય સભામાં ભારતભરના 200 વર્ષથી પણ વધુ જૂના વિવિધ સંપ્રદાયોના આશરે 90 જેટલા મૂર્ધન્ય ધર્માચાર્યોએ ઉપસ્થિત રહીને એકતાનાં દર્શન કરાવ્યાં હતાં.
વર્તમાનમાં આ સભાના સંરક્ષક તરીકે રમણરેતી વૃંદાવનના સંત કાર્ષ્ણિ શ્રી ગુરુશરણાનંદજી મહારાજ માર્ગદર્શન આપી રહ્યા છે, જ્યારે અધ્યક્ષ સ્થાને પંચદશનામ જુના અખાડાના પીઠાધીશ્વર મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદજી મહારાજ અને કન્વીનર તરીકે આર્ષ વિદ્યામંદિર રાજકોટના અધ્યક્ષ પરમાત્માનંદજી મહારાજ છે.
આ ઐતિહાસિક સંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતે આખો દિવસ સંતોની સાથે રહીને વિવિધ વિષયો પર મંથન કર્યું હતું, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને વીએચપી અધ્યક્ષ આલોકજીએ પણ ઉપસ્થિત રહીને રાષ્ટ્રહિતની ચર્ચાઓમાં ભાગ લીધો હતો.
ગુજરાતની ધર્મધરાનું પ્રતિનિધિત્વ કરતા જામનગરના પ્રણામી સંપ્રદાયના વડા પ.પૂ. શ્રી કૃષ્ણમણીજી મહારાજ, SGVP ના અધ્યક્ષ પ.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી, શ્રી વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય દ્વારકેશલાલજી મહારાજ (ચંપારણ્ય પીઠ) અને સંતપંથ પ્રેરણાધામના અધ્યક્ષ સ્વામી જ્ઞાનેશ્વરદાસજી મહારાજ, મહામંડલેશ્વર સ્વામી વિશોકાનંદજી મહારાજ – સન્યાસ આશ્રમ અમદાવાદ જેવા સમર્થ સંતોએ હાજરી આપી હતી.
આ અધિવેશનમાં ભારતવર્ષના અનેક સળગતા પ્રશ્નો પર ગહન ચર્ચા કરાઇ હતી, જેમાં ખાસ કરીને નવી શિક્ષણ નીતિનું અસરકારક અમલીકરણ અને દેશભરના લાખો મઠ-મંદિરોની સંપત્તિ જે સરકારી નિયંત્રણ હેઠળ છે તેને મુક્ત કરાવવા માટે સકારાત્મક વ્યૂહરચના ઘડાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter