બોટાદ: ઐતિહાસિક તીર્થધામ સારંગપુર ખાતે બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં સત્સંગ દિન તથા પ્રેસ-મીડિયા સ્નેહમિલનની ઊજવણી કરવામાં આવી હતી. સમાજમાં સકારાત્મક્તા, આધ્યાત્મિક્તા અને સેવાભાવના સંદેશને જનજન સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા પત્રકારો અને મીડિયા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પ.પૂ. મહંત સ્વામી મહારાજના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરતાં ઉપસ્થિતોએ આત્મીયતા અને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી. સત્સંગ દિન નિમિત્તે હજારો હરિભક્તોએ ગુરુહરિના દર્શન સાથે સત્સંગનો અમૂલ્ય લાભ મેળવ્યો હતો. બીએપીએસના યુવકોએ ‘સુખી જીવનમાં સત્સંગનું સ્થાન’ વિષય પર સંવાદાત્મક કાર્યક્રમ શરૂ કરી આજના તણાવભર્યા સમયમાં માનસિક શાંતિ, પારિવારિક એકતા અને સંસ્કાર જાળવવામાં સત્સંગની ભૂમિકાને જીવંત રીતે રજૂ કરી હતી.
કાર્યક્રમના અંતે મહંત સ્વામી મહારાજે આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે જીવનમાં સાચું સુખ અને શાંતિ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ નિયમિત સત્સંગ છે. સમગ્ર સારંગપુર પરિસર ભક્તિ, સેવા, સંસ્કાર અને આત્મિયતાના દિવ્ય માહોલથી ગૂંજી ઊઠ્યું હતું.


