અમદાવાદ: રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન-મણિનગરને પ્રતિષ્ઠિત શ્રી મુક્તજીવન પર્યાવરણ રક્ષીય ગૌરવ એવોર્ડ તથા સન્માન પત્ર એનાયત કરાયા હતા. ધર્મના પ્રચાર સાથે સાથે પર્યાવરણને બચાવવા માટે વૃક્ષ સંવર્ધન, જતન અને જનજાગૃતિ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી માટે સંસ્થાને આ એવોર્ડ એનાયત થયો છે.
ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તથા અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા દેરોલ ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ મહાસંમેલન કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ વતી મહંત સદગુરુ શાસ્ત્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ આ સન્માન સ્વીકાર્યું હતું. મહંત સ્વામીએ પણ ગવર્નર આચાર્ય દેવવ્રતને સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની પુષ્પમાળા તથા શાલથી સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલે પોતાના પ્રવચનમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની પર્યાવરણ ક્ષેત્રની કામગીરીને પણ બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું પણ એ સૂત્ર રહ્યું છે કે, રક્ષીશું જળ, જમીન અને જંગલ તો જીવન રહેશે સદા મંગલ. દેશ વિદેશમાં પણ સંસ્થાન દ્વારા પર્યાવરણ રક્ષણના કાર્યક્રમો યોજાતા રહે છે. આ પ્રસંગે ભક્તિ નિકેતન આશ્રમ-દંતાલીના પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી, રાજ્યના વરિષ્ઠ મંત્રીઓ ઋષિકેશભાઈ પટેલ, મંત્રી ડો. જીતુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


