ૐ ક્રિમેટોરિયમના લોકાર્પણ પૂર્વે અનુપમ મિશન-ડેન્હામમાં અધિક માસ મહાયજ્ઞ

Tuesday 16th June 2026 12:46 EDT
 
 

અનુપમ મિશન દ્વારા ડેન્હામમાં સાકાર થઇ રહેલા ૐ ક્રિમેટોરિયમના લોકાર્પણ પૂર્વે ગયા શુક્રવારે ધર્મોલ્લાસભર્યા માહોલમાં અધિક માસ મહાયજ્ઞ યોજાઇ ગયો. ભારતીય સમુદાયના વિવિધ વર્ગના લોકોની હાજરીથી હર્યાભર્યા આ કાર્યક્રમમાં સહુ કોઇએ અનુપમ મિશનના સ્તુત્ય આયોજનને બિરદાવ્યું હતું.
નવા બંધાઇ રહેલા ૐ ક્રિમેટોરિયમના હોલમાં 12 જૂને યોજાયેલા અધિક માસ મહાયજ્ઞ માટે ત્રણ સુંદર યજ્ઞવેદી પર 12 જેટલા મુખ્ય યુગલ યજમાન દાતાઓ જ્યારે ત્રણ બાજુએ બાકીના 25 જેટલા યુગલ યજમાનપદે ટેબલ-ખુરશી પર બિરાજ્યાં હતાં. હોલની મધ્યમાં એક તરફે સુંદર સ્ટેજ પર વૈષ્ણવ આચાર્યશ્રી દ્વારકેશલાલજી (કડી) અને ગુરુવર્ય સંત ભગવંત સાહેબજી તથા શ્રી શૌનકઋષિજીના આસન હતા.
કાર્યક્રમના પ્રારંભે સૌપ્રથમ ભાવિશાબેન ટેલરે પ્રાસંગિક પ્રવચન દ્વારા આ યજ્ઞકર્મ વિશે સૌને માહિતી આપી તે પછી ગુરુવર્ય સાહેબજીએ યજ્ઞવિધિ કરાવનાર આચાર્ય સાધુ અશોકદાસ અને સાધુ સરજુદાસની પૂજનવિધિ કરી હતી. જ્યારે
પૂ. હિંમતસ્વામીએ નાડાછડી બાંધીને અને પૂ. વાસુદેવદાસજીએ બન્નેને ખેસ અર્પણ કરીને પૂજા કરાવવાનો અધિકાર આપ્યો હતો.
આ પછી સમાજના મોભી પ્રદીપભાઇ ધામેચાએ વૈષ્ણવ આચાર્યશ્રી દ્વારકેશલાલજી (કડી) અને સંત ભગવંત સાહેબજીનું પૂજનઅર્ચન કરીને આશીર્વાદ લીધા હતા. જ્યારે અનુપમ મિશન-યુકેના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ પૂ. સતીશભાઈ ચતવાણીનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું. આ ઉષ્માપૂર્ણ અભિવાદનને સૌ ભક્તોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. યજ્ઞવિધિના પ્રારંભે સાધુ પૂ. સરજુદાસજીએ યજ્ઞકર્મ અને તેની વિધિનું મહત્ત્વ તથા યજ્ઞસામગ્રીની ઉપયોગિતા વિશે વિસ્તારપૂર્વક સમજ આપી હતી. આ પછી સર્વપ્રથમ ‘ૐ સ્વામિનારાયણ...’ મહામંત્રની ધૂન અને દીપપ્રાગટ્ય સાથે યજ્ઞવિધિનો પ્રારંભ થયો. આ વેળાએ સર્વ યજમાન ભાઈઓના પૂજન અને કંકણબંધન સર્વ વ્રતધારી સંતોએ કર્યા હતા તો સર્વ યજમાન બહેનોના પૂજન અને કંકણબંધન ઋષિકન્યાઓ દ્વારા થયા હતા. તો યજમાન યુગલોએ પરસ્પર એકબીજાને ખેસ અર્પણ કર્યાં. સર્વ યજમાનોએ ખૂબ સુંદર અને ભક્તિપૂર્વક સમગ્ર યજ્ઞવિધિ કરી હતી.
સાધુ પૂ. સરજુદાસજીએ તમામ વિધિ અંગે ઈંગ્લિશમાં પણ સમજણ આપી હોવાથી સહુ કોઇ માટે - સવિશેષ તો આજની યુવા પેઢી માટે - યજ્ઞવિધિનું શાસ્ત્રોક્ત મહત્ત્વ સમજવાનું આસાન બની રહ્યું હતું. યજ્ઞકર્મનું આચમન, ઈષ્ટદેવ આહ્વાન સ્તુતિ, મંગલાચરણ પૂજન, મંત્ર પુષ્પાંજલિ, થાળ, આરતી, યજ્ઞકુંડ પૂજન, પ્રાર્થના સંકલ્પ, અગન્યાધાનમ્, સમિધાધાનમ્, અ.પુ. ઉપાસના ભક્તિ, મહાયાગ આહુતિ, સ્વિષ્ટકૃદાહુતિ, કલ્યાણઆહુતિ, આદિ સર્વ વિધિ ખૂબ જ ભક્તિસભર અને દિવ્ય વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
આ પછી સાઈડ ટેબલ પર બેઠેલાં સર્વ યજમાન યુગલો પણ આ ત્રણ વેદી પર આવ્યા હતા અને પાંચ-પાંચ આહૂતિ અર્પણ કરી હતી.
મહાયજ્ઞની પૂર્ણાહૂતિ વેળા આચાર્યશ્રી દ્વારકેશલાલજી, સંત ભગવંત સાહેબજીએ વચ્ચેની મુખ્ય વેદી પર પધારીને પૂર્ણાહૂતિનું શ્રીફળ યજ્ઞ નારાયણદેવને અર્પણ કર્યું તે સાથે જ સમગ્ર માહોલ મંત્રોચ્ચારથી ગાજી ઉઠ્યો હતો. આમ સમગ્ર યજ્ઞવિધિ ધર્મોલ્લાસભર્યા માહોલમાં સંપન્ન થઇ હતી.
આ પછી ભાવિશાબેને વૈષ્ણવ આચાર્ય
પૂ. દ્વારકેશલાલજી મહારાજ અને સંત પૂ. ભગવંત
સાહેબજીનો ખૂબ ખૂબ આભાર માની કૃતજ્ઞતાભાવ પ્રગટ કર્યો હતો.
ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ સતીશભાઈએ આ ક્રિમેટોરિયમના ઉદભવથી લઈને આજ સુધીના કાર્યની ટૂંકમાં વાત કરતાં સમગ્ર આયોજનની રૂપરેખા રજૂ હતી. સાથે સાથે જ આપણા સમાજના આ સેવાયજ્ઞમાં મહત્તમ દાન આપનારા મહાનુભાવો સર્વશ્રી પ્રદિપભાઈ ધામેચા, રૂપિનભાઈ વડેરા, શામજીભાઈ આદી દાતાઓનો હૃદયથી આભાર માન્યો હતો.
કાર્યક્રમના અંતે, આચાર્ય
પૂ. દ્વારકેશલાલજી તથા સંત
પૂ. ભગવંત સાહેબજીએ આ દિવ્ય સામાજિક કાર્ય એ આપણું સૌનું કાર્ય છે, સેવાનું કાર્ય છે, તેમાં હજુ પણ સૌ નિઃસ્વાર્થભાવે સેવા અર્પે તેવી ભાવના વ્યક્ત કરી હતી. સાથે સાથે જ તેમણે આ સ્તુત્યકાર્યમાં જે કોઇએ નિસ્વાર્થભાવે સેવા કરી છે અને તન-મન-ધનથી ઉદારમનો સહયોગ આપ્યો છે તેમને ખૂબ ખૂબ બિરદાવ્યા અને સૌને સુખી થવાના રૂડા આશીર્વાદ આપ્યા.
સતીશભાઈએ ખાસ કરીને પૂ. હિંમતસ્વામીનો આ સેવાકાર્યમાં ભજન-પ્રાર્થના કરી બળ આપવા બદલ તેમજ સર્વ કાર્યોમાં અવિરત સેવાઓ આપવા બદલ ભાવિશાબેનનો વિશેષ આભાર માન્યો હતો. કાર્યક્રમના અંતમાં સૌ મહાપ્રસાદ લઈને આનંદસભય હૈયે અનુપમ મિશનના ઉપક્રમે યોજાયેલા આ કાર્યની પ્રસન્નતા સાથે વિદાય થયા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter