લંડનઃ મેથોડિસ્ટ ચર્ચે સજાતીય લગ્નોને ૨૫૪ વિરુદ્ધ ૪૬ની બહુમતી સાથે ઐતિહાસિક બહાલી આપી છે. મેથોડિસ્ટ ચર્ચ હવે બ્રિટનમાં સજાતીય લગ્નોમે બહાલ કરનારું સૌથી મોટું ધાર્મિક વ્યવસ્થાતંત્ર બની ગયું છે. હવે તે લગ્ન ‘એક પુરુષ અને એક સ્ત્રી’ના બદલે ‘બે વ્યક્તિ’ વચ્ચે ઐક્યની વ્યાખ્યા કરી શકશે. જોકે, જે મિનિસ્ટર સજાતીય લગ્નથી અસંમત હોય તેઓ સજાતીય લગ્ન કરાવવાનો ઈનકાર કરી શકે છે.
બુધવાર ૩૦ જૂને ગવર્નિંગ સંસ્થા મેથોડિસ્ટ કોન્ફરન્સની સર્વપ્રથમ એશ્વેત મહિલા પ્રેસિડેન્ટ રેવરન્ડ સોનિયા હિક્સની અધ્યક્ષતા સાથેની બેઠકમાં ચર્ચાના પગલે ઐતિહાસિક મતદાનમાં બહુમતી સાથે મેથોડિસ્ટ ચર્ચે સજાતીય લગ્નોને ઐતિહાસિક બહાલી આપી છે. ૧૬૪,૦૦૦ અનુયાયીઓ ધરાવતું મેથોડિસ્ટ ચર્ચ સજાતીય લગ્નોનું સમર્થન કરનારું સૌથી મોટો ધાર્મિક સમુદાય બન્યું છે. અગાઉ, યુનાઈટેડ રિફોર્મ્ડ ચર્ચ, ધ જનરલ એસેમ્બલી ઓફ યુનિટેરિયન એન્ડ ફ્રી ક્રિશ્ચિયન ચર્ચીસ, ધ ક્વેકર્સ અને સ્કોટિશ એપિસ્કોપલ ચર્ચે સજાતીય લગ્નોને બહાલી આપેલી છે.
કેટલાક રુઢિચૂસ્ત સભ્યોએ નોંધપાત્ર પરંપરાવાદી લઘુમતી ચર્ચને છોડી જશે તેવો ભય પણ વ્યક્ત કર્યો હતો. દરમિયાન, લિવરપૂલના બિશપ રેવ. પૌલ બાયેસે આશા વ્યક્ત કરી હતી કે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ પણ આને અનુસરશે અને એંગ્લિકન પાદરીઓને ચર્ચમાં સજાતીય લગ્નો કરાવવા અનુમતિ આપશે. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ અને કેથોલિક ચર્ચ માત્ર પુરુ, અને સ્ત્રી વચ્ચે જ લગ્ન થઈ શકે તેવો ઉપદેશ આપે છે. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના બિશપો આ મુદ્દે વિચારણા કરી રહ્યા છે અને આગામી વર્ષે નવેમ્બરમાં ‘જનરલ સાઈનોડ’ સમક્ષ દરખાસ્તો રજૂ કરી શકે છે.