સદી ફટકારતા જશોદાબા

Tuesday 30th December 2014 12:14 EST
 
 

'શતમ જીવમ શરદ:' એ પ્રકારે હવે આપણે પૂ. જશોદાબેન રાયચંદ હંસરાજ શાહને ઉદ્બોધન ન કરી શકીએ. કેમ કે ગુરૂવાર તા. ૧-૧-૨૦૧૫ના દિવસે જશોદાબાએ હેમખેમ ૧૦૦ વર્ષ પૂરા કર્યા છે. આજીવન તેઅો મહાવીર સ્વામી અને અન્ય તિર્થંકરોના પ્રભાવમાં રહ્યા અને તેમની જીવનશૈલી આપણા સૌના માટે એક પ્રેરણાસ્ત્રોત બની રહી છે.

તેમનો જન્મ સૌરાષ્ટ્રના ઐતિહાસીક કહી શકાય તેવા પદાણા ગામમાં તા. ૧-૧-૧૯૧૫ના રોજ થયો હતો. માતા પાંચીબહેન અને પિતા કરમશીભાઇ ખીમજીભાઇના આ પુત્રી માત્ર ૧૦ માસની ઉંમરે દરીયો ખેડી કેન્યામાં આવ્યા અને થીકામાં બાળપણ વિતાવ્યું.

થીકામાં શાળા ન હોવાથી જશોદાબાનું શિક્ષણ નૈરોબીમાં થયું.

તેમણે ૧૫-૧૬ વર્ષની નાની વયે (તે સમયગાળામાં પ્રણાલિ હતી તે મુજબ) લગ્ન કર્યા. જશોદાબાની કુખે સાત દિકરા અને ૪ દિકરીઅોએ જન્મ લીધો. જશોદાબાના જેઠાણીના અવસાન બાદ તેમના બાળકોની કાળજી પણ સહર્ષ સ્વીકારી અને સારી રીતે ઉપાડી લીધી હતી.

ભારત પૂર્વ આફ્રિકા અને બ્રિટન તેમજ અન્ય દેશોમાં પૂ. જશોદાબાએ પ્રવાસ કરેલો છે. એક જમાનામાં નૈરોબીના 'વ્હાઇટ વેઝ' જેવા મુખ્યત્વે ગોરાના વિસ્તારમાં જવલ્લે જ ભારતીયો અને સવિશેષ આપણી મહિલાઅો જતી. પૂ. જશોદાબા તેમની હૈયા સુઝ અને આત્મવિશ્વાસના પરિણામે આવા વિસ્તારોમાં જતા અને ગોરાઅોને ચીજ વસ્તુ વેચતા અને ખરીદતા.

અત્યારે તેઅો નોર્થ વેસ્ટ લંડનના કેન્ટનમાં તેમના પુત્રવધૂ સરોજબેન નિલનભાઇ શાહ સાથે નિવાસ કરે છે. અગાઉ તેઅો લંડનમાં જ્યારે મુલાકાતે આવતા ત્યારે સામાન્ય પણે બસમાં સરળતાથી પ્રવાસ કરતા અને ક્યાં જવા માટે કઇ બસ પકડવી તે તેમને પુરેપૂરૂ યાદ રહેતું. કોઇ કારમાં મુસાફરી કરતા હોય ત્યારે ડ્રાઇવર સામાન્યને બદલે બીજો રૂટ પકડે તો તેઅો તુરંત જ બદલાયેલા રૂટ વિષે ડ્રાઇવરના જાણ કરતા હતા.

જશોદાબાની એક વિશેષતા ખાસ નોંધપાત્ર છે. તેઅો નાની વયથી જ સમાચાર પત્રો, મેગેઝિન કે ધાર્મિક પુસ્તક વાંચવામાં ખૂબજ રસ લેતા. અત્યારે પણ તેઅો સાદુ અંગ્રેજી વાંચવાનો પ્રયત્ન કરતા રહે છે અને સાથે સાથે ટીવી પર ગુજરાતી કે હિન્દી સિરીયલ માણે છે. તેમની યાદ શક્તિ એટલી સરસ છે કે તેઅો જુના નવા સગાસંબંધીઅોના નામ સરળતાથી યાદ રાખે છે.

આવા જશોદાબા જેવા વડિલો આપણા સમાજનું ગૌરવ છે. આવા મોટેરાઅોની સેવા સુશ્રુષા કરવી અને તેનો લાહ્વો લેવો તે પણ સદ્ભાગ્યની વાત છે.

૨૦૧૪ના વર્ષમાં નામદાર મહારાણી તરફથી સો વર્ષ પૂરા કરનાર ૭,૫૦૦ વડિલોને બર્થ ડે કાર્ડ પ્રાપ્ત થયા હતા. ગુરૂવારે પૂ. જશોદાબા તે સન્માન પ્રાપ્ત કરશે. એક અંદાજ પ્રમાણે ૧૩,૭૮૦ સેન્ચુરીયન આ દેશમાં વસે છે. છેલ્લા એક દાયકામાં તે સંખ્યામાં ૭૦%નો વધારો થયો છે. ૨૦૩૭ સુધીમાં આ સંખ્યા ૧,૧૧,૦૦૦ થવાનો અંદાજ છે.

પૂ. જશોદાબા જેવા આપણા સમાજની કિંમતી જણસ જેવા વડિલો અને અન્ય પરિવારજનોનો સંબંધ અનેકવિધ રીતે ઉમદા અદાન-પ્રદાનને ધોતક છે. પૂ. જશોદાબાને પરમકૃપાળુ પરમાત્મા હેમખેમ દીર્ઘાયુ બક્ષે એવી 'ગુજરાત સમાચાર' પરિવારની પ્રભુપ્રાર્થના.

જય જીનેન્દ્ર.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter