લંડનઃ કોરોના વાઈરસની કટોકટી દરમિયાન બેનિફિટ નિયંત્રણો પર મૂકાયેલા ત્રણ મહિનાના પ્રતિબંધને સરકાર લંબાવશે નહિ તે બાબતને વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી થેરેસી કોફીએ સમર્થન આપ્યું હતું. લીબ ડેમના સર એડવર્ડ ડેવીએ જણાવ્યું હતું કે પ્રતિબંધ હટાવવાનું આ પગલું ‘વિષમ નિર્ણય’ છે.
કેબિનેટ મિનિસ્ટર થેરેસી કોફીએ મંગળવાર ૩૦ જૂને હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે લોકડાઉનના નિયમો હળવા થઈ રહ્યા છે અને જોબસેન્ટરો ફરી કામકાજ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે બેનિફિટનો ક્લેઈમ કરનારા લોકો કામ શોધવા માટે પ્રતિબદ્ધ હોય તે મહત્ત્વનું છે. તેઓ લેબર પાર્ટીના જોનાથન રેનોલ્ડ્સના પ્રશ્રનો જવાબ આપી રહ્યા હતા. રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે પરિવારો આર્થિક અનિશ્ચિતતા અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાથી આ પ્રતિબંધને હજુ લંબાવવો જોઈએ.
કોફીએ ઉમેર્યું હતું કે તેઓ વર્ક કોચીસ પર વિશ્વાસ મૂકી શકે છે. જોબ સેન્ટરના મેનેજરોને આ દિશામાં સકારાત્મક કાર્યવાહી કરવા સત્તા અપાઈ છે. અત્યારે પણ કેટલાંક લોકો એવા હશે જેમને નોકરી મેળવવા માટે છેલ્લા ૨૦-૩૦ વર્ષમાં બહુ મહેનત કરવી પડી નહિ હોય. તેઓ હાલ ઉપલબ્ધ નોકરીઓ શોધવાનું શરૂ કરી શકે તે સુનિશ્રિત કરવા માટે તેમને કાળજીપૂર્વકની મદદની જરૂર પડશે. મને આશા છે કે તે ટૂંક સમયમાં મળશે.
તેમણે ઉમેર્યું હતું કે પ્રતિબંધનો અંત આવ્યા પછી જોબસેન્ટરો વ્યક્તિગત કિસ્સાઓમાં તેમની નિર્ણયશક્તિનો ઉપયોગ કરશે. જૂનની શરૂઆતમાં તેમણે કબૂલ્યું હતું કે તેમના ડિપાર્ટમેન્ટેને બેનિફિટના લાભ પર રહેતા લોકોને નોકરી શોધી આપવામાં મદદરૂપ થઈ શકે તે માટે ૧૩,૫૦૦ સભ્યોની વર્ક કોચીસની ટીમની સંખ્યા બમણી કરવાની જરૂર છે.
લિબ ડેમના ડેવીએ જણાવ્યું હતું કે પ્રતિબંધ હટાવવાનું આ પગલું ‘ખરાબ નિર્ણય’ છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું,‘ બેરોજગારી વધી રહી છે, અર્થતંત્ર તળિયે જઈ રહ્યું છે અને લાખો લોકોને કોઈ સહાય નથી, પરિવારો અકલ્પનીય પડકારોનો સામનો કરી રહ્યા છે. કોરોના વાઈરસની કટોકટીનો સમય પૂરો ન થાય ત્યાં સુધી સરકારે તેમને રાહત આપવી જોઈએ.