લંડનઃ કોરોના વાઈરસથી મૃત્યુઆંક ૧૮,૦૦૦ને પાર થઈ જતાં યુકેના ચીફ મેડિકલ ઓફિસર ક્રિસ વ્હિટીએ ચેતવણી આપી છે કે બ્રિટિશરોએ હજુ એક વર્ષ સુધી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. વ્હિટીએ સ્પષ્ટ કર્યું હતું કે કોરોના વાઈરસ વેક્સિન શોધાય તે પહેલા સોશિયલ ડિસ્ટન્સિંગના પગલાં ઉઠાવી લેવાય તેવી અપેક્ષા તદ્દન અવાસ્તવિક છે અને કોરોના વાઈરસને કાબુમાં લાવવા દેશે લાંબી લડાઈ લડવી પડશે. બીજી તરફ, વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના ડેપ્યુટી તરીકે કામ કરતા ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે લોકડાઉનની એક્ઝિટ સ્ટ્રેટેજીની રુપરેખા જાહેર કરવાની માગણીઓ ફગાવી દીધી છે.
લોકડાઉનથી કંટાળેલા બ્રિટિશરોને કડક સંદેશ આપતા ફર્સ્ટ સેક્રેટરી રાબે જણાવ્યું હતું કે યુકે હજુ કોરોના વાઈરસની ટોચથી પસાર થઈ રહ્યું છે ત્યારે આ સમય લક્ષ્ય પરથી આંખ હટાવવાનો નથી. સરકાર મે મહિનાની મધ્યમાં કડક નિયંત્રણો હળવા કરવાની તૈયારી કરી રહી હોવાના દાવા પણ તેમણે ફગાવ્યા હતા. તેમણે બ્રીફિંગમાં કહ્યું હતું કે મિનિસ્ટર્સ એક્ઝિટ સ્ટ્રેટેજીની રુપરેખા વિશે વિચારી શકે તેને પણ સપ્તાહો લાગશે.
પ્રોફેસર વ્હિટીએ જણાવ્યું હતું કે રોગ થકી મૃત્યુમાં પ્રમાણમાં થોડો જ ઘટાડો થશે પરંતુ, NHSને લાંબા સમય સુધી દબાણ હેઠળ રહેવું પડશે. અન્ય નિષ્ણાતોએ જણાવ્યું છે કે જો કોરોના વાઈરસ કેસીસમાં ઉછાળો ન જણાય તો શાળાઓ બંધ કરવા સહિતના કેટલાક નિયંત્રણો હળવાં કરી શકાય છે. જોકે, પ્રોફેસર વ્હિટીએ સ્પષ્ટ કર્યું હતું કે ‘સંપૂર્ણ સામાન્ય જીવન તરફ વળવા માટે તબીબી સફળતા જરૂરી છે. આ રોગ નાબૂદ થવાનો નથી કે અદૃશ્ય થવાનો નથી. લોકોએ વાસ્તવિક બનવું પડશે. લોકડાઉન જતું રહેશે અને બધું સામાન્ય બની જશે તેવી ધારણા અવાસ્તવિક છે. લોકોને મરતાં બચાવી શકે તેવું વેક્સિન અથવા ભારે અસરકારક દવાઓ કદાચ આગામી વર્ષમાં તૈયાર કરી શકાશે ત્યાં સુધી તો આપણે અન્ય સામાજિક પગલાં પર જ આધાર રાખવો પડશે.’