'શ્રવણ સન્માન' કાર્યક્રમને વધાવી લેતા બ્રિટનવાસી ગુજરાતીઅો

Tuesday 20th October 2015 14:21 EDT
 

૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહ બાદ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આપણા વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના સન્માન કરવાના એક નવતર કાર્યક્રમ 'શ્રવણ સન્માન'નું આયોજન કરવાની જાહેરાત થતાં જ આ કાર્યક્રમને ચોમેરથી વધાવી લેવામાં આવ્યો છે. આપણા વૃધ્ધ, અશક્ત અને અસક્ષમ વડિલોની ખરા દિલથી સેવા સુશ્રુષા કરતા કેટલાય દિકરા-દિકરીઅો, વહુઅો કે સંતાનોનું શ્રવણ સન્માન' એનાયત કરીને સન્માન કરવાની અમારી જાહેરાતના ખૂબજ સુંદર પ્રતિભાવ સાંપડ્યા છે.

લંડનના હેન્ડન ખાતે રહેતા ૯૨ વર્ષના ઇંદીરાબેન (ઉષા) બક્ષીએ તેમના પુત્ર વિભાકર અને પુત્રવધૂ હીના બક્ષીનું શ્રવણ સન્માન એનાયત કરી બહુમાન કરવા વિનંતી કરી છે.

ઈંદિરાબેને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે 'બે મહિના બાદ મને ૯૨ (બાણું) વર્ષ પૂરાં થશે. ૧૯૮૬ સુધી જામનગરમાં હું, મારા માં અને બહેન ૨૨ વર્ષ સુધી એકલા રહેતાં હતાં. અમારો પાસપોર્ટ બ્રિટિશ હતો અને મારા દીકરા વિભાકરની અહીં બદલી થતાં તેણે અમને ત્રણેયને અહીં બોલાવ્યા હતા. મારા માં બે વર્ષ પછી ૯૨ વર્ષની વયે ૧૯૮૮માં વિદાય થયાં. ત્યાર પછી અમે બે બહેનો ભારત અને યુકે આવ-જા કરતાં હતા. આઠ વર્ષ પૂર્વે મારી બહેન પણ ૯૬ વર્ષની વયે વિદાય થયા. હવે હું વિભાકર અને હીના સાથે રહું છું. મારા દીકરા-વહુએ આટલા વર્ષો સુધી પોતાના નાની, માસી અને હવે મારી તન-મન-ધનથી સેવા કરી છે. આજે કોઈ એક માવતરને સાચવવા તૈયાર નથી, ત્યારે તેમણે અમને ત્રણને ખૂબજ પ્રેમ અને જતનપૂર્વક સાચવ્યાં છે. એમને શેની ઉપમા આપવી?'

તેમણે જણાવ્યું હતું કે 'તમે વડીલોનું સન્માન કરો છો તેના સમાચાર હું 'ગુજરાત સમાચાર'માં વાંચું છું. તમે બહુ ઉમદા કાર્ય કરો છો. જે સેવા કરે છે તે સૌ સન્માનને પાત્ર છે. પણ જેને કોઈની પડી નથી, પોતાનામાં જ મસ્ત છે, તેમને આ જોઈને, સાંભળીને સમજાય છે કે આ કેવું વિરલ સન્માન છે. જેઅો ઉમદા કાર્ય કરે કે વિચારે છે, તેમનામાં ઉંચા સંસ્કાર હોય તો જ તેમ બને છે. મારો દીકરો વિભાકર 'નવરસ રેકોર્ડસ' ચલાવે છે, જે શાસ્ત્રીય સંગીતનું માધ્યમ છે. તે બહુ ઊમદા સ્વભાવ ધરાવે છે અને વહુ હીના પણ એવી જ સંસ્કારી અને સુશીલ છે. તમને યોગ્ય લાગે તો એમનું સન્માન કરશો, તો મારા જેવું ખુશ કોઈ નહીં થાય.'

મિત્રો, આ અને આવા કેટલાય દિકરાઅો, દિકરીઅો, જમાઇ અને પુત્રવધૂઅો બ્રિટનમાં વસતા હશે. સાચા અર્થમાં શ્રવણની જેમ સેવા કરતા આવા સંતાનોનું સન્માન કરવાની અમે ઇચ્છા ધરાવીએ છીએ. આવા વિરલાઅોની માહિતી અમને વહેલી તકે મોકલી આપવા વિનંતી છે જેથી અમે આ ઉમદા સન્માન કરી શકીએ. અમારો આશય આવા સન્માન થકી અન્ય સંતાનોને પણ પ્રેરણા આપવાનો છે જેથી તેમના માવતરનું જીવન પણ સુંદર બને.

આ સોનેરી વિચાર અંગે અમે આપ સૌના સૂચનો આવકારીએ છીએ. આપ જો માતા-પિતાની સેવા કરતા દિકરા-દિકરી, પુત્રવધુ કે સંતાનોને જાણતા હો તો તેમના નામ, સરનામા અને ફોન નંબર સાથેની જરૂરી માહિતી મોકલવા નમ્ર વિનંતી છે. વધુ માહિતી માટે સંપર્ક: કમલ રાવ – 0207749 4001 અને Email: [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter