BAPS ચેરીટી દ્વારા BAPS સ્વામીનારાયણ મંદિર ખાતે તાજેતરમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના દાતાઅોની નોંધણી કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકોએ દાતા તરીકે પોતાના નામની નોંધણી કરાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નોર્થ વેસ્ટ લંડનમાં રહેતા દુષ્યંત મહેતા નામના બાળકને હાલમાં બોનમેરોની જરૂર છે. દુષ્યંતે પોતાનો બોનમેરો મોટી બહેનને આપીને તેનો જીવ બચાવ્યો હતો પરંતુ બહેનનું નિધન થયા બાદ હવે દુષ્યંતને તેવી જ બીમારી થઇ છે.
દાતાઅોની નોંધણી માટે BAPS ચેરીટી અને ડીલીટ બ્લડ કેન્સર યુકે સંસ્થાના સ્વયંસેવકોએ મંદિર ખાતે ખૂબજ સુંદર રીતે જનજાગૃતી આણી દર્શાનાર્થીઅોને આ અંગે સમજ આપી હતી અને ઘણા બધા લોકોએ મોટી સંખ્યામાં દાતા તરીકે પોતાના નામ નોંધાવ્યા હતા. ૨૦૧૩માં મંદિર ખાતે યોજાયેલી નોંધણી ઝૂંબેશ દરમિયાન પોતાનું નામ નોંધાવનાર વંદન પોપટ નામના યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તાજેતરમાં જ પોતાના ૨૧ મા જન્મ દિવસે બોનમેરોનું દાન કરીને એક નિર્દોષનો જીવ બચાવ્યો હતો.