છ ગામ નાગરિક મંડળ (CGNM)ના છ ગામ મેટ્રિમોનિયલ ઈન્ટ્રોડક્શન (CGMI) વિભાગ દ્વારા 17 સપ્ટેમ્બરના રોજ ધર્મજ સોસાયટી ઓફ લંડનના નાત નંદી હોલમાં લગ્નોત્સુક યુવક–યુવતીઓનો મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો.
વિવિધ સમાજની સંસ્થાઓ દ્વારા આ પ્રકારના આયોજનો છેલ્લા ઘણા સમયથી બંધ થયા છે. જોકે આવા આયોજનની તાતી જરૂરને ધ્યાનમાં રાખીને છ ગામ નાગરિક મંડળ દ્વારા નવેસરથી પહેલ કરવામાં આવી છે. આ આયોજનને સમાજે પણ પ્રોત્સાહક પ્રતિસાદ આપ્યો હતો અને ચરોતરના બધા જ ગામના 100 કરતાં પણ વધુ યુવક–યુવતીઓએ તેમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. ધર્મજ સોસાયટી ઓફ લંડન તેમજ અન્ય દાતાઓના સહકારથી આ પ્રસંગ નિઃશુલ્ક યોજાયો હતો. આ પ્રસંગે આણંદના કરમસદમાં આવેલી શ્રીકૃષ્ણ હોસ્પિટલના જનરલ સેક્રેટરી જાગૃતભાઇ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના પ્રમુખ જયરાજભાઇ ભાદરણવાળાએ સમગ્ર આયોજનને સફળ બનાવવા સહુ કોઇનો આભાર માન્યો હતો.
તેમણે કહ્યું હતું કે આ કાર્યક્રમને પાર પાડવા માટે સંસ્થાના સહયોગીઓ પ્રશાંતભાઈ તથા ગાર્ગીબેન (ભાદરણ), વ્રજેશભાઈ તથા સોનાલીબેન (ધર્મજ), કિરણભાઈ તથા શીતલબેન (કરમસદ), અજીતભાઈ તથા જયશ્રીબેન (નડિયાદ), જયંતભાઇ તથા કલાબેન (સોજિત્રા), મહેન્દ્રભાઈ તથા નિરંજનભાઈ (વસો) અને સંસ્થાના જનરલ સેક્રેટરી નૈનેશભાઈ (વસો), યુવા કાર્યકર્તાઓ મોનિકાબેન પટેલ (કરમસદ), રીટાબેન, તેમજ ‘ગુજરાત સમાચાર’, પી.કે. પટેલ અને ધર્મજ સોસાયટી ઓફ લંડનનો વિશેષ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીસાહેબની વિચારસરણી મુજબ સબકા સાથ સબકા વિકાસના સૂત્ર સાથે ભવિષ્યમાં પણ આવા જ પ્રોગ્રામ્સ કરવાની આશા રાખીએ છીએ.