લેસ્ટરઃ કોમ્યુનિટીના અગ્રણીઓ, ધાર્મિક સંસ્થાઓ, વોલન્ટીઅર્સ અને સિવિક પ્રતિનિધિઓ સોમવાર 11 મે 2026ના રોજ સમગ્ર લેસ્ટરમાં કોમ્યુનિટી ડિફિબ્રિલેટર ઈનિશિયેટિવના સત્તાવાર ઉદ્ઘાટન માટે શ્રી જલારામ ટેમ્પલ લેસ્ટર અને વીરબાઈમા જલારામ કોમ્યુનિટી સેન્ટર ખાતે એકત્ર થયા હતા. આ ઈનિશિયેટિવ અચાનક કાર્ડિયાક એરેસ્ટમાં અસ્તિત્વના દરને સુધારવા તેમજ જીવનરક્ષક ઈમર્જન્સી રિસ્પોન્સ ઈક્વિપમેન્ટ વિશે જાગૃતિ વધારવાના વ્યાપક હાર્ટશિલ્ડ પ્રોજેક્ટનો હિસ્સો છે, જે લેસ્ટર સિટી કાઉન્સિલ, જો હમ્ફ્રીઝ મેમોરિયલ ટ્રસ્ટ (JHMT) અને ઈસ્ટ મિડલેન્ડ્સ એમ્બ્યુલન્સ સર્વિસ (EMAS) વચ્ચે પાર્ટનરશિપમાં છે.
શ્રી જલારામ ટેમ્પલ લેસ્ટર, શ્રી શક્તિ મંદિર, શ્રીજી ધામ હવેલી, બોબી‘સ લેસ્ટર સહિત સમગ્ર લેસ્ટરમાં વધારાના ધાર્મિક અને કોમ્યુનિટી સ્થળોએ ડિફિબ્રિલેટર યુનિટ્સના સફળ ઈન્સ્ટોલેશન અને ગોઠવણી સંદર્ભે આ ઈવેન્ટ યોજાયો હતો. આ પ્રોજેક્ટ લોકોને 24/7 ઈમર્જન્સી ડિફિબ્રિલેટર્સની સુવિધા મળે અને સ્થાનિક કોમ્યુનિટીઓમાં સીપીઆર અને ઈમર્જન્સી રિસ્પોન્સના વિસ્તરણના લેસ્ટરના લોર્ડ મેયર કાઉન્સિલર ટેરેસા એલ્ડ્રેડના વિઝનને આભારી છે.
મહેમાનોના સત્તાવાર સ્વાગત અને કોમ્યુનિટી ડિફિબ્રિલેટર ઈનિશિયેટિવના ઉદ્ઘાટન માટે ચેરમેન પ્રમોદભાઈ ઠક્કર તથા ટ્રસ્ટીઓ સુનીલભાઈ બુધદેવ અને મીરાબહેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટ દ્વારા લોકજાગૃતિ, તાલીમ, અને મહત્ત્વપૂર્ણ જીવનરક્ષક ઉપકરણોની સુવિધા સંદર્ભે કોમ્યુનિટીની સાવધતા મુદ્દે પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરાયો હતો. સેવા, કરુણા અને માનવતાના જલારામ બાપાના ઉપદેશો અન્વયે આ ઈનિશિયેટિવ મૃત્યુદર ઘટાડવામાં મદદ અને લેસ્ટરમાં કોમ્યુનિટી કલ્યાણને મજબૂત બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.
સડન એરીથ્મિક ડેથ સિન્ડ્રોમ (SADS)ના કારણે જો હમ્ફ્રીઝનું 2012માં કરુણ મૃત્યુ થયા પછી જો હમ્ફ્રીઝ મેમોરિયલ ટ્રસ્ટ (JHMT)ની સ્થાપના કરાઈ હતી ત્યારથી ફાઉન્ડેશન યુકેમાં જાગૃતિ કેળવવા, ડિફિબ્રિલેટર્સની સુવિધા સુધારવા તેમજ કોમ્યુનિટીઓમાં જીવનરક્ષક સીપીઆર અને ઈમર્જન્સી રિસ્પોન્સ ટ્રેનિંગ પૂરી પાડવા અવિરત કાર્ય કરે છે. ફાઉન્ડેશનના કાર્યના સપોર્ટમાં ચેરમેન પ્રમોદભાઈ ઠક્કર અને બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા ચેરિટીના કોમ્યુનિટી ઈનિશિયેટિવ્ઝની તરફેણમાં 250 પાઉન્ડના દાનની જાહેરાત કરવામાં આવી હતી. કોમ્યુનિટીના વ્યાપક કલ્યાણ અર્થે ફાઉન્ડેશન અને લેસ્ટર સિટી કાઉન્સિલની વર્તમાન કામગીરીને સપોર્ટ તેમજ તાલીમ અને શિક્ષણને આગળ વધારવા જે શક્ય હશે તે તમામ કરવાની ખાતરી પણ ઉચ્ચારવામાં આવી હતી.


