લંડનઃ નીસડન ટેમ્પલના યુવા વોલન્ટીઅર્સે યુકે હાઉસ ઓફ લોર્ડ્સમાં જાહેર સેવા, રાજકારણ અને આસ્થાના વિષયોને સાંકળતી પ્રેરણાદાયી સાંજનો લહાવો લીધો હતો. લોર્ડ કૃષ્ણ રાવલ OBEના યજમાનપદે આયોજિત આ ઈવેન્ટમાં જાહેર સેક્ટરના વિવિધ વિભાગોમાં કાર્યરત BAPS સ્વામિનારાયણ સંસ્થાના વોલન્ટીઅર્સ સાથે પેનલચર્ચા કરાઈ હતી.
યુકે પાર્લામેન્ટ, યુકે સરકાર અને યુકે સિવિલ સર્વિસના પરિચય સાથે પેનલિસ્ટોએ જાહેર સેવામાં તેમના અનુભવો તેમજ ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામી મહારાજના ઉપદેશો કેવી રીતે વિનમ્રતા, આત્મવિશ્વાસ અને નિઃસ્વાર્થપણા સાથે સમાજની સેવા કરવાની આજીવન પ્રતિબદ્ધતાની પ્રેરણા પૂરી પાડે છે તેના વિશે જણાવ્યું હતું. આ સાંજને અવિસ્મરણીય અને વિચારપ્રેરક પ્રસંગ બનાવવા બદલ લોર્ડ રાવલ, પેનલિસ્ટ્સ અને તમામ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.


