લંડનઃ ભારતીબહેન પંકજની કવિતાઓનાં પુસ્તક ‘આઈડેન્ટિટી પોએમ્સનું લોકાર્પણ લોર્ડ ભીખુ પારેખના હસ્તે 25 ઓક્ટોબર 2023ના રોજ હાઉસ ઓફ લોર્ડ્સમાં કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં ભારતીબહેનની 100 ગુજરાતી કવિતાઓનો ઈંગ્લિશમાં અનુવાદ ડો. અદમ ટંકારવી દ્વારા કરવામાં આવ્યો છે. કાર્યક્રમનો શુભારંભ ડો. નંદકુમાર MBEએ મોકલેલી પ્રાર્થનાઓનાં આકાશ દોશી દ્વારા પઠન સાથે કરાયો હતો.
લોર્ડ ભીખુ પારેખે ઓળખ અને બહુસાંસ્કૃતિકવાદના મહત્ત્વ વિશે જણાવ્યું હતું. તેમણે એક ભાષામાંથી બીજી ભાષામાં કરાતા અનુવાદમાં પડતી મુશ્કેલીઓના ઉદાહરણો પણ આપ્યા હતા. લોર્ડ નવનીત ધોળકિયાએ ભારતીબહેનને અભિનંદન પાઠવવા સાથે ગુજરાતી ભાષાની જાળવણી માટે તેમણે કરેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. પ્રોફેસર એમિરેટસ ડો. મેન્સ્કીએ ભારતી પંકજની કવિતાઓમાં આંતરસાંસ્કૃતિક ભાવુકતા પરના વિચારો સંદર્ભે વાત કરી હતી. હર્ષદ પટેલ, પ્રોફેસર અતુલ મહેતા, આનંદ ગાંધી, શ્રુતિ દોશી અને અન્ય મહાનુભાવો પેનલચર્ચામાં જોડાયા હતા.
આ પ્રોગ્રામનું સંચાલન ઈમ્તિયાઝ પટેલ વરેડીઆવાલાએ કર્યું હતું. ભારતીબહેનનાં પૌત્રી સેરેના દોશીએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.