મહાત્મા ગાંધીજીની ટેવિસ્ટોક સ્કવેર સ્થિત પ્રતિમાની સુવર્ણ જયંતિની ઉજવણી

Tuesday 22nd May 2018 14:35 EDT
 
પ્્રસ્્તુત તસવીરમાં ડાબેથી  સુમંતરાય દેસાઇ, જીતુભાઇ પટેલ, પ્્રવચન કરતા સીબી પટેલ, વિરેન્્દ્્ર શર્્મા, દિનેશ પટનાયક, એએસ રાજન, પીજી પટેલ અને ભાનુભાઇ પંડ્યા
 

સેન્ટ્રલ લંડનના ટેવિસ્ટોક સ્કવેર ખાતે આવેલી ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થતા ઇન્ડિયા લીગ અને ભારતીય હાઇકમિશન દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાની સુવર્ણ જયંતિની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતના ડેપ્યુટી હાઇકમિશ્નર દિનેશ પટનાયક, ઇલીંગ સાઉથોલના એમપી વિરેન્દ્ર શર્મા, ઇન્ડિયા લીગના ચેરમેન (તંત્રી) સીબી પટેલ, મિનિસ્ટર અોફ કો-અોર્ડીનેશન એ. એસ. રાજન, હેડ અોફ ચાન્સેરી સુનિલ કુમાર તેમજ વિવિધ સંસ્થાઅોના અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા.

ઇલીંગ સાઉથોલના એમપી વિરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે "મહાત્મા ગાંધી શાંતિ, એકતા, સમાનતા અને એકબીજાને મદદરૂપ થવાનો સુંદર સંદેશ આપતા ગયા હતા. ગાંધીજીના મતે સુખ અને સમૃદ્ધી એક દેશ કે જાતી માટે નહિં પણ નાત જાતના ભેદભાવ વગર સૌ કોઇને માટે હતી. ભારતને સ્વતંત્રતા મળી તે પહેલા તેમનું આ સ્વપ્ન હતું.”

ભારતના લંડન સ્થિત ડેપ્યુટી હાઇકમિશ્નર દિનેશ પટનાયકે જણાવ્યું હતું કે "આ પ્રતિમા આપણને અને આપણી પેઢીને બતાવશે કે આપણે શું હતા અને આપણો વારસો કેટલો વિરાટ અને મહાન હતો. આજે આપણે જ નહિં દુનિયાભરના સૌ કોઇ ગાંધીજીના સિધ્ધાંતોને યાદ કરીએ છીએ. આ પ્રતિમાની સ્થાપના અને અનાવરણ થયું તે સમયે ભારતની આઝાદીના માત્ર ૨૧ વર્ષ થયા હતા. પરંતુ જે વ્યક્તિએ બ્રિટીશ હુકુમતના કાંગરા ખેરવી દીધા હતા તેજ વ્યક્તિની પ્રતિમાની સ્થાપના માટે બ્રિટીશ સરકારે મંજુરી આપી હતી જે બ્રિટનના મુલ્યોના દર્શન કરાવે છે. સીબીએ તેમના પ્રવચનમાં આ કાર્યક્રમ માટે ટોકન શબ્દનો ઉલ્લેખ કર્યો પરંતુ હો તો કહીશ કે આ કાર્યક્રમ અને તેની મહત્વતા ટોકનથી પણ વિશેષ છે. યુનિવર્સટી કોલેજ લંડન ખાતે આગામી તા. ૨ અોક્ટોબરના રોજ અમે શાનદાર કાર્યક્રમનું આયોજન કરનાર છીએ. મહાત્મા ગાંધી માત્ર ભારતના જ નહિં પણ સમગ્ર વિશ્વના હતા.”

આ પ્રતિમાની સ્થાપનામાં મહત્વની ભુમિકા ભજવનાર ઇન્ડિયા લીગના ચેરમેન અને ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના તંત્રી સીબી પટેલે જણાવ્યું હતું કે "આ દેશમાં વસતા સૌએ સન્માનભેર યાદ રાખવું જોઇએ કે ૧૯૬૭-૬૮માં મહાત્મા ગાંધીજીની પ્રતિમા માટે વિચાર મૂર્તિમંત બન્યો હતો. ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધનો ઘા તાજો હતો. શ્રીમતી ગાંધી આવી શકે તેમ નહોતા અને તે સમયના ભારતીય હાઇ કમિશ્નર એસ એસ ધવન, બ્રિટીશ વડાપ્રધાન હેરોલ્ડ વિલ્સન તેમજ કેમડેન કાઉન્સિલ અને ઇન્ડિયા લીગના સહકારથી આ સ્વપ્ન સાકાર થયું હતું. આ પ્રતિમાના દર્શને સાઉથ આફ્રિકાના સ્વાતંત્ર્ય વીર નેલ્સન મેંડેલા, બીશપ ડેસમન્ડ ટૂટુ સહિતના હજારો નેતાઅો આવી ગયા છે તે મહાત્મા ગાંધીજીની મહાનતા દર્શાવે છે.”

ભારતીય હાઇકમિશનના મિનિસ્ટર ફોર કો-અોર્ડીનેશન એ. એસ. રાજને જણાવ્યું હતું કે "આજે હું માનુ છું કે તે સમયે આ પ્રતિમાની સ્થાપનાનું કાર્ય કેટલું વિકટ બન્યું હશે. આ પ્રતિમાની સ્થાપના માટે અથાક મહેનત કરનાર સૌ વંદનના અધિકારી છે.

આ પ્રસંગે ગિતીકા સુલેખે ગાંધીજીને પ્રિય એવું વૈષ્ણવ જન તો તેને રે કહીએ.... અને અન્ય ભજન રજૂ કર્યા હતા. આ પ્રસંગે મહાત્મના ગાંધી ફાઉન્ડેશનના પ્રમુખ જગદીશભાઇ દવે તેમજ અગ્રણીઅો નીતિબેન ઘીવાલા, ભાનુભાઇ પંડ્યા, અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપીના આજીવન પ્રમુખ લાલુભાઇ પારેખ, NCGOના પ્રમુખ પ્રવિણભાઇ અમીન, અગ્રણી જીતુભાઇ પટેલ, સુમંતરાય દેસાઇ, પીજી પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter