લંડનઃ શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) આયોજિત રથયાત્રા 2026માં હજારો ભક્તજનો ઉમટવા સાથે સમગ્ર લંડનમાં આધ્યાત્મિક સ્વર્ગ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું. આ નિમિત્તે 16 જુલાઈ ગુરુવારની પવિત્ર અષાઠી બીજની તિથિએ સાઉથોલના શ્રી રામ મંદિરમાં તેમજ 18 જુલાઈ, શનિવારે લંડન, હેઈઝના નવનાત સેન્ટર ખાતે ભવ્ય જાહેર ઉજવણી કરાઈ હતી, જેમાં હજારથી વધુ ભક્તજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
રથયાત્રા ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની દિવ્યતાને સહુ માટે સુલભ બનાવતો વાર્ષિક નગરયાત્રાનો ઉત્સવ છે. કીર્તન, ભજન, પ્રાર્થના અને કોમ્યુનિટી સમર્પણ થકી સર્જાયેલા આધ્યાત્મિક વાતાવરણે ભારતના પુરી નગરના શ્રી જગન્નાથ ધામનું સ્મરણ કરાવ્યું હતું. રથની પ્રતિષ્ઠા કરાયા પછી, પરંપરાગત વિધિઓ અને સુંદર વસ્ત્રો સાથે મૂર્તિઓને સુશોભિત રથમાં પધરાવવામાં આવી હતી. લોર્ડ રેમી રેન્જર, ભારતીય હાઈ કમિશનના અજય ઠાકુર તેમજ કુલદીપ શેખાવત (OFBJP UKના પ્રમુખ, MATV UK અને સ્વાગત ટીવી નેટવર્કના ડાયરેક્ટર) દ્વારા છેરા પાહન્રા વિધિ કરાયા પછી હજારો ભક્તોએ ઉલ્લાસપૂર્વક જય જગન્નાથ અને હરિ બોલો નારાઓ સાથે રથને ખેંચ્યો હતો. ભક્તોએ પૂજા કરી હતી અને ખીચડી, ડાલામા અને સુખીલા ભોગ સહિતનો ભોગ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
મૂર્તિઓ 26 જુલાઈ 2026ની બાહુડા યાત્રા સુધી પુરી ધામના ગુંડિચા મંદિરના યુકે સમકક્ષ હિન્દુ મંદિર સ્લાઉ ખાતે રહેશે. ઉજવણી દરમિયાન, ચિન્મય મિશન, સચખંડ નાનક ધામ, SJSUK કીર્તન મંડળી, ઉત્કાલિકા અને SJSUK ભજન ગ્રૂપ દ્વારા ભક્તિમય પરફોર્મન્સીસ કરવામાં આવ્યા હતા. સ્વામી શિવા ચિદાનંદા સરસ્વસ્તીએ રથયાત્રા અને અક્ષ માર્ગના આધ્યાત્મિક મહત્ત્વની સમજ આપી હતી.


