કાર્ડિફઃ હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સ (HCW) દ્વારા કાર્ડિફ બેમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે આંતરરાષ્ટ્રીય અહિંસાદિન અને મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ 2018ની બીજી ઓક્ટોબરે કરવામાં આવ્યું હતું અને ત્યારથી જ HCW દ્વારા દર વર્ષે અહીં પવિત્ર દિવસની ઉજવણી કરાય છે જેમાં મહાનુભાવો અને સ્થાનિક કોમ્યુનિટીના સભ્યો ઉપસ્થિત રહે છે.
આ વર્ષે મુખ્ય મહેમાન તરીકે મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ અને વેલ્સ સેનેડના ચીફ વ્હિપ મિસિસ જેન હટ હતાં. અન્ય મહાનુભાવોમાં એચએમ લોર્ડ લેફ્ટનન્ટ મિસિસ મોરફીડ મેરિડિથ, મિસિસ જૂલી મોર્ગન AM, વેલ્સમાં ઓનરરી કોન્સલ ઓફ ઈન્ડિયા મિ. રાજ અગરવાલ અને લોર્ડ મેયર ઓફ કાર્ડિફ મિસિસ બાબલીન મોલિકનો સમાવેશ થયો હતો. વક્તાઓએ મહાત્મા ગાંધીજી અને અહિંસાની વિચારધારામાં તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મિસિસ જેન હટે કહ્યું હતું કે વેલ્સ સરકાર કાર્ડિફમાં મહાત્મા ગાંધીની પ્રતિમા અને આ મહાન દિવસના મહત્ત્વને બરાબર સમજે છે તેમજ જાહેર જાગૃતિ અને શિક્ષણ મારફત અહિંસાના સંદેશાને આગળ વધારવામાં માને છે. HCWના અધ્યક્ષ ડો. શક્તિ ગુહા નિયોગીએ નાસમજ શેરી હિંસા અને આપણા દેશમાં યુવાજીવન નષ્ટ થવા વિશે ચિંતા વ્યક્ત કરી રાજકીય નેતાઓને લાંબા ગાળાના ઉકેલ તરીકે યુવાનોમાં અહિંસા વિશે જાગરૂકતા ફેલાવવા વિનંતી કરી હતી.