લંડનઃ ભગવાન ગણેશની તસવીર સાથેની યોગ મેટ વેચાણ માટે ઓનલાઈન મૂકાતા હિન્દુઓમાં ભારે રોષ ફેલાયો હતો. પૂજનીય દેવતાની તસવીર સાથેની યોગ મેટને ખૂબ અયોગ્ય ગણાવીને તેને તાત્કાલિક બજારમાંથી પાછી ખેંચી લેવા અને હિંદુ સમાજની માફી માગવા હિંદુઓએ માન્ચેસ્ટર ખાતેની ઓનલાઈન ફેસ્ટિવલ ફર્મ ‘ફેન્ટસી EDM ગીયર’ને અનુરોધ કર્યો હતો.
યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમના પ્રેસિડેન્ટ રાજન ઝેડે અમેરિકાના નેવાડામાં એક નિવેદનમાં ગણેશજીના ચિત્ર સાથેની યોગ મેટ્સ તાત્કાલિક ધોરણે ઓનલાઈન વેચાણમાંથી પાછી ખેંચી લેવા અને હિંદુઓની સત્તાવાર માફી માગવા ‘ફેન્ટસી EDM ગીયર’ને જણાવ્યું હતું.
હિંદુ રાજનેતા રાજન ઝેડે જણાવ્યું હતું કે હિંદુ ધર્મમાં ભગવાન ગણેશજી ખૂબ પૂજનીય છે અને તે મંદિરો તેમજ ઘરોમાં પૂજાય છે. તેમના ચિત્ર પર બેસી શકાય નહીં અને પગ પણ મૂકી શકાય નહીં. કોમર્શિયલ અથવા અન્ય હેતુસર હિંદુ દેવી-દેવતાઓનો અથવા તેમના પ્રતીકોનો અયોગ્ય ઉપયોગ કરવાનું ઉચિત નથી કારણ કે તેનાથી શ્રદ્ધાળુઓની લાગણી દુભાય છે. એક યોગ મેટની કિંમત ૯૦ પાઉન્ડ હતી.
ઝેડે ઉમેર્યું હતું કે આ પ્રકારે હિંદુ દેવી દેવતાનું મહત્ત્વ ઓછું થતા હિંદુઓની લાગણી દુભાય છે. હિંદુઓ કલાત્મક અભિવ્યક્તિ અને વક્તવ્યમાં અન્ય જેટલાં જ મુક્ત છે. પરંતુ, ધર્મ પવિત્ર છે અને તેનું મહત્ત્વ ઓછું કરવાના પ્રયાસોથી હિંદુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે છે.