લંડનઃ સ્વિમ શોર્ટ્સ પર હિન્દુ દેવીદેવતાઓના ચિત્રણનો વિવાદ માંડ શમ્યો છે ત્યારે શેફિલ્ડ (ઈંગ્લેન્ડ) સ્થિત નીપસેન્ડ બ્રુ કંપની દ્વારા ‘હનુમાન’ બિયરના વેચાણનો વિવાદ શરુ થયો છે. બિયરને હિન્દુઓના પૂજનીય હનુમાનજીનું નામ આપવા મુદ્દે વિશ્વભરના હિન્દુઓની લાગણી ઘવાયા સાથે રોષ ફેલાયો છે. હિન્દુઓ દ્વારા આ બિયરને તત્કાળ બજારમાંથી પરત ખેંચવા અને માફી માગવા જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે લંડનના શાર્ડ ખાતે વડુ મથક ધરાવતા ગ્લોબલ લક્ઝરી શોપિંગ ડેસ્ટિનેશન મેચીસફેશન (MatchesFashion) દ્વારા બજારમાં મૂકાયેલા જિમી હેન્ડ્રિક્સ સ્વિમ શોર્ટ્સને તત્કાળ પાછા ખેંચી લેવા સાથે હિન્દુઓની માફી માગી છે.
યુએસએના નેવાડામાં યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઈઝમના પ્રમુખ રાજન ઝેડે જણાવ્યું છે કે,‘ હિન્દુ ધર્મમાં રામસેવક હનુમાનજીનું સ્થાન વિશિષ્ટ છે. તેમની ઘર અને મંદિરમાં આદરસહ પૂજા કરવાની હોય છે. હિન્દુ ધર્મમાં હનુમાનજી તેમની અપ્રતિમ શક્તિ માટે જાણીતા હોવા સાથે સંપૂર્ણ જ્ઞાની અને વ્યાકરણના નિષ્ણાત ગણાય છે. બજારુ ઉપયોગના ઈરાદા સાથે તેમના નામનો ઉપયોગ બિયરના વેચાણ માટે કરાવો ન જોઈએ. આલ્કોહોલિક પીણાં સાથે ભગવાન હનુમાનજીનું નામ જોડવું તદ્દન અનુચિત અને અયોગ્ય છે.
રાજન ઝેડે જણાવ્યું હતું કે હિન્દુ દેવી-દેવતાની મૂર્તિઓ, આદર્શો અને પ્રતીકોનો વેપારી અથવા અન્ય રીતે ઉપયોગ અયોગ્ય છે. તેમણે વેચાણમાં મૂકાયેલા બિયરને બજારમાંથી તત્કાળ પાછા ખેંચવા અને લાગણી દુભાવવા બદલ હિન્દુઓની માફી માગવા પણ જણાવ્યું છે.
મેચીસફેશને સ્વિમ શોર્ટ્સ પાછા ખેંચી માફી માગી
હિન્દુઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયાના ૨૪ કલાકમાં જ ગ્લોબલ લક્ઝરી શોપિંગ ડેસ્ટિનેશન મેચીસફેશને (MatchesFashion) બજારમાં મૂકાયેલા દેવીદેવતાઓના ચિત્રો સાથેના જિમી હેન્ડ્રિક્સ સ્વિમ શોર્ટ્સને તત્કાળ પાછા ખેંચી લેવા સાથે હિન્દુઓની માફી માગી છે. મેચીસફેશનના મેન્સવેર હેડ ઓફ કોમ્યુનિકેશન્સ પોલ વોટસને હિન્દુ અગ્રણી રાજન ઝેડને પાઠવેલા ઈમેઈલમાં જણાવ્યું હતું કે,‘અમે આ આઈટમ્સ સાઈટ પરથી દૂર કરી છે. અમે અમારી ટીમને આવી સંવેદનશીલ ખરીદીમાં સાવચેતી રાખવા પણ સૂચના આપી છે. આ કોઈ ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું નથી તે જણાવવા સાથે અમે આ બદલ માફી માગીએ છીએ.’
રાજન ઝેડે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વમાં હિન્દુ ધર્મ સૌથી પ્રાચીન હોવા ઉપરાંત, ૧.૧ બિલિયન શ્રદ્ધાળુઓ સાથે ત્રીજા ક્રમનો સૌથી મોટો ધર્મ છે. આધ્યાત્મિક અને ફિલોસોફીમાં સમૃદ્ધ આ ધર્મને મજાકમાં લેવો ન જોઈએ. કોઈ પણ, નાના કે મોટા ધર્મના પ્રતીકો સાથે દુર્વ્યવહાર કરાવો ન જોઈએ. હિન્દુ દેવીદેવતાઓની આવી મજાકથી વિશ્વભરના હિન્દુઓમાં રોષ સર્જાય છે. કોઈ પણ ધર્મ પવિત્ર હોય છે અને તેને મજાક બનાવવાથી તેમના અનુયાયીઓ દુભાય તે સ્વાભાવિક છે. તેમણે મેચીસફેશન તથા અન્ય કંપનીઓને નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરતી વખતે અથવા એડવર્ટાઈઝ કેમ્પેઈન સમયે તેમના સીનિયર એક્ઝિક્યુટિવ્ઝને ધાર્મિક અને સાંસ્કૃતિક સંવેદનશીલતા બાબતે ટ્રેનિંગ માટે મોકલવા સૂચન કર્યું હતું.