વોશિંગ્ટનઃ અમેરિકામાં હિંદુ ધર્મના વિકાસને બિરદાવતા બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના સ્વયંસેવક અને ભારતીય-અમેરિકન ચિકિત્સક ડો. અક્ષર પટેલે અમેરિકી ન્યાય વિભાગની અંતિમ સુનાવણીમાં હિંદુ સમુદાય સામે વધતી નફરતની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા ‘અમેરિકામાં ધાર્મિક સ્વતંત્રતાનું અતીત, વર્તમાન અને ભવિષ્ય’ વિશે ચર્ચા કરવાના પ્રયાસ તરીકે વર્ણવાયેલી આ સુનાવણીઓ આગામી મહિને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ન્યાય વિભાગ દ્વારા સોંપાનારા રિપોર્ટનો આધાર બનશે. 13 એપ્રિલે આ મુદ્દે યોજાયેલી સાતમી અને અંતિમ સુનાવણી હતી, જેનો હેતુ અત્યાર સુધીની તમામ સુનાવણીઓના તારણોની સમીક્ષા કરવાનો હતો.
મેરીલેન્ડમાં રહેતા કેન્સર વિશેષજ્ઞ ડો. અક્ષર પટેલે અમેરિકામાં BAPS તથા હિંદુ ધર્મના વિકાસ પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, ‘BAPS કે જે સંસ્થાનું હું પ્રતિનિધિત્વ કરું છું, તેણે 1974માં ન્યૂયોર્કના ક્વીન્સમાં પોતાનું પ્રથમ હિંદુ પૂજા સ્થળ અથવા મંદિર શરૂ કર્યું હતું. 50 વર્ષ પહેલાંના તે એક મંદિરથી અમે આજે સમગ્ર અમેરિકામાં 100થી વધુ મંદિરો સુધી વિસ્તર્યા છીએ.’
BAPSને વર્ષોથી મળેલી ધાર્મિક સ્વતંત્રતા પર પ્રકાશ પાડતા તેમણે વધુમાં કહ્યું કે, ‘આ વિકાસ અમેરિકાની એક અસાધારણ વિશેષતાને દર્શાવે છે. આ અમેરિકી વચન અને ધાર્મિક સ્વતંત્રતાની શક્તિનો પુરાવો છે.’
તેમણે કહ્યું, ‘અમેરિકા અપ્રવાસી સમુદાયોને અહીં આવવા, મહેનત કરવા, પોતાને સ્થાપિત કરવા, પાડોશીઓ સાથે સાર્થક સંબંધો બાંધવા અને શાંતિપૂર્વક પોતાના ધર્મનું પાલન કરતા વિકસવાની છૂટ આપે છે.’
પોતાના અનુભવ વિશે વાત કરતા ડો. પટેલે કહ્યું કે તેઓ 20 વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા આવ્યા હતા, ત્યાં મેડિકલ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને હવે આ સમુદાયમાં પોતાના મૂળ જમાવી દીધા છે.
હિંદુ અમેરિકન સમુદાયના અનુભવ સાથે પોતાના અનુભવની તુલના કરતા તેમણે કહ્યું, ‘હું અહીં હિંદુ અમેરિકનોના અનુભવને વહેંચવા આવ્યો છું - એક એવો અનુભવ જે આસ્થા, સેવા અને આ દેશ દ્વારા પૂરા પાડવામાં આવેલા અવસરો પ્રત્યેની ઊંડી કૃતજ્ઞતા પર આધારિત છે. અને હું એ વાત પર વિચાર કરવા આવ્યો છું કે ધાર્મિક સ્વતંત્રતાએ અમારા સમુદાયને કેવી રીતે ખીલવા-ફૂલવામાં સક્ષમ બનાવ્યો છે. મારી વ્યક્તિગત યાત્રા આ દેશમાં અનેક હિંદુ અમેરિકનોની યાત્રાનું પ્રતિબિંબ છે.’
ધાર્મિક સ્વતંત્રતાની રક્ષા જરૂરી હોવાની વાત પર ભાર મૂકતા તેમણે નિષ્કર્ષમાં કહ્યું કે, ‘જે ધાર્મિક સ્વતંત્રતાએ અનેક અલગ-અલગ ધર્મોના અમેરિકનોની પેઢીઓને બનાવવા, યોગદાન આપવા અને સમૃદ્ધ થવાની તક આપી છે, તેને ભવિષ્યની પેઢીઓ માટે પણ સુરક્ષિત રાખવી જોઈએ.’


