લંડનઃ હિન્દુઝ ફોર લેબરના સભ્યો યુનાઈટેડ કિંગ્ડમમાં એન્ટિસેમેટિઝમમાં થઈ રહેલી ચિંતાજનક વૃદ્ધિ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરવા અને બ્રિટિશ જ્યુઈશ કોમ્યુનિટી સાથે એકતા દર્શાવવા પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે સોમવાર 4 મેએ એકત્ર થયા હતા.
તેમની સાથે બોર્ડ ઓફ લેબર ફ્રેન્ડ્ઝ ઓફ ઈઝરાયેલના અધ્યક્ષ એડ્રિયન કોહેન જોડાયા હતા જેમણે કોમ્યુનિટીઓ વચ્ચે એકતાના પ્રદર્શનને આવકારી એન્ટિસેમેટિઝમ વિરુદ્ધ એકજૂટ થઈ ખડા રહેવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
હિન્દુઝ ફોર લેબરના અધ્યક્ષ ડો. નીરજ પાટિલે જણાવ્યું હતું કે,‘યુકેમાં યહુદીવાદ વિરુદ્ધ વધતી ઘટનાઓથી અમને ભારે ચિંતા છે. શાંતિ, સહિષ્ણુતા અને સહઅસ્તિત્વના મૂલ્યોમાં માનતી કોમ્યુનિટી તરીકે અમે બ્રિટિશ જ્યુઈશ કોમ્યુનિટી સાથે ખભા મિલાવી ઉભા છીએ. આપણા સમાજમાં ઘૃણાને કોઈ સ્થાન નથી અને આપણે કોઈ પણ સ્થળે એન્ટિસેમેટિઝમને સામૂહિકપણે પડકારી તેને હરાવવું જોઈએ.’
આ પ્રદર્શને સમાનતા, આદર, ધાર્મિક સહિષ્ણુતા અને સમાવેશિતાના હાદરૂપ બ્રિટિશ મૂલ્યોની રક્ષા કરવામાં ધર્મો અને સમુદાયોમાં એકતાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. હિન્દુઝ ફોર લેબરે વધુ સમાવેશી અને સહિષ્ણુ બ્રિટનના નિર્માણમાં લેબર સરકાર અને અન્ય પાર્ટનર્સ સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતાનો પનરુચ્ચાર કર્યો હતો.


