લંડનઃ કોરોના મહામારીના પગલે લદાયેલા નિયંત્રણોને વડા પ્રધાન જ્હોન્સને વધુ હળવા બનાવ્યા છે. બ્રિટનને સામાન્ય પરિસ્થિતિ તરફ લઈ જવા માટે આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા બે મીટરના સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમને પણ બદલી એક મીટરથી થોડું વધુ અંતર જાળવવાની જાહેરાત કરી છે. તેમણે પરિવારો અને મિત્રો ઘરમાં મળી શકે તેની લીલી ઝંડી આપી છે. માંદા અર્થતંત્રને બચાવવાના પગલાંમાં માર્ચ મહિનાથી બંધ ટુરિઝમ અને હોસ્પિટાલિટી જેવા ચાવીરુપ સેક્ટર્સ ‘સુપર સેટરડે’ ૪ જુલાઈથી ફરી કાર્યરત થઈ શકશે. ઈંગ્લેન્ડમાં પબ્સ, બાર, કાફેઝ, રેસ્ટોરાં, હેરડ્રેસર્સ, સિનેમા, મ્યુઝિયમ્સ, અને આર્ટ ગેલેરીઝ સહિત ઈનડોર સ્થળો ખોલવાની પણ પરવાનગી અપાઈ છે. જોકે, નેઈલ બાર્સ, જીમ્સ અને સ્વિમિંગ પૂલ્સ બંધ જ રહેશે. વડા પ્રધાને ચેતવણી આપી હતી કે લોકો છૂટછાટનો દુરુપયોગ કરશે અને કોવિડ-૧૯ ફરીથી ત્રાટકશે તો ફેરફારો પાછા ખેંચી લેવાશે. તેમણે કહ્યું હતું કે સંક્રમણનું જોખમ અટકાવવા ફેસ માસ્ક સહિતની સાવચેતીઓ રાખવી જ પડશે.
ડાઉનિંગ સ્ટ્રીટના જણાવ્યા અનુસાર મેડિકલ ચીફ ક્રિસ વ્હિટી અને સાયન્સ ચીફ પેટ્રિક વોલન્સે આ છૂટછાટોને બહાલી આપી છે. જોકે, રોગચાળો ઉથલો મારે તો છૂટછાટો પાછી ખેંચી લેવાની ચિમકી પણ વડા પ્રધાને આપી છે. નિયંત્રણો હળવા કરવાની જાહેરાત અનુસાર ‘કોવિડ સુરક્ષા’ ગાઈડલાઈન્સનું પાલન કરાય તે સાથે હોટેલ્સ, કેમ્પસાઈટ્સ અને હોલીડે કોટેજીસને પણ પરવાનગી અપાઈ છે. ૩૦ વ્યક્તિની હાજરીની છૂટ સાથે લગ્નવિધિ સહિત ચર્ચ સર્વિસીસ પુનઃ ચાલુ કરી શકાશે. જોકે, ગીતસંગીત પર પ્રતિબંધ રહેશે કારણકે તેનાથી વાઈરસના પ્રસારનો ભય રહે છે. બે પરિવારો પોતાના ઘર, રેસ્ટોરાં અથવા મ્યુઝિયમમાં હળીમળી શકશે અને તેમની સંખ્યા પર કોઈ મર્યાદા રખાઈ નથી. હાલ છ લોકો બહાર મળી શકે તેવી મર્યાદા છે. જોકે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું હોવાથી ગ્રાન્ડપેરન્ટ્સ તેમના ગ્રાન્ડચિલ્ડ્રન્સને નિકટથી વહાલ કરી શકે તેના માટે હજુ રાહ જોવી પડશે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે કોરોના વાઈરસ વધુ કન્ટ્રોલમાં આવી રહ્યો છે. સંક્રમણનો દર ધીમો પડી રહ્યો છે ત્યારે હવે લોકડાઉન વિશે વધુ નિયંત્રણોની જરુર જણાતી નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ઈંગ્લેન્ડના હેરડ્રેસર્સ ૪ જુલાઈથી ફરી ખુલે તેના રોડમેપને તેઓ વળગી રહેશે. યુકેના વિજ્ઞાનીઓએ સલૂન્સ ખોલવાને સલામત ગણાવ્યું છે જેને યુકેના ૩૦,૦૦૦ હેરડ્રેસર્સે વધાવી લીધું છે.
બ્રિટનમાં શનિવારે ૧૨૮ નવા કોરોના વાઈરસ મોત નોંધાયા હતા, જે માર્ચમાં લોકડાઉન જાહેર કરાયા પછી શનિવાર માટે સૌથી નીચો આંકડો છે. આ સાથે દેશમાં કોરોનાથી મૃત્યુઆંક ૪૨,૫૮૯ થયો હતો. યુકેના વિજ્ઞાનીઓએ સ્પષ્ટ કર્યું હતું કે મહામારી રોજના ચાર ટકા લેખે ઘટતી જાય છે અને ઈન્ફેક્શનનો R રેટ ૧થી નીચે જ રહ્યો છે. આ પછી, યુકેમાં શુક્રવારે જોખમનું સ્તર ડાઉનગ્રેડ કરાયું હતું. બ્રિટન હવે લક્ષણો ધરાવતા તમામનું પરીક્ષણ કરી શકે છે.
પબમાં જતા પહેલા રજિસ્ટ્રેશન
સરકાર પબ્સ અને રેસ્ટોરાંને ૪ જુલાઈથી ખુલવાને મંજૂરી આપે તેવા અણસાર વચ્ચે હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું છે કે લોકોએ પબમાં જતા પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને એપના ઉપયોગથી ડ્રિન્ક્સનો ઓર્ડર આપવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે ન્યૂ ઝીલેન્ડ જેવા દેશોમાં આ વ્યવસ્થા છે જેનાથી આવા સ્થળે ગયેલી વ્યક્તિને ચેપ લાગ્યાનું જણાય તો અન્ય કસ્ટમર્સને શોધવામાં સરળતા રહે છે. હેનકોકે કહ્યું હતું કે હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીને ફરી ખોલવાનું સલામત બને તેવા વિકલ્પોની વિચારણા કરી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે અર્થતંત્રના વધુ સેક્ટર્સ ૪ જુલાઈથી ખુલે અને ધમધમતાં થાય તે માટે યોજનાઓ ઘડાઈ રહી છે. બે મીટરના સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમ હળવાં થઈ શકે છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પબ્સ અને રેસ્ટોરાં અગાઉની માફક જ બિઝનેસ કરતા થાય તેવી ઓછી તક છે.
સંક્રમણમાં દૈનિક ૪ ટકા જેટલો ઘટાડો
કોરોના વાઈરસ રોગચાળો દરરોજ ૪ ટકા સુધીના હિસાબે ઘટી રહ્યો હોવાનું સરકાર જણાવે છે. ધ સાયન્ટિફિક એડવાઈઝરી ગ્રૂપ ફોર ઈમર્જન્સીઝ (SAGE) દ્વારા રોગચાળાના વૃદ્ધિદર વિશે જણાવ્યું હતું કે રોગના કેસની સંખ્યા દિવસોદિવસ ઝડપથી બદલાઈ રહી છે. રોગચાળાનો વૃદ્ધિદર દૈનિક ૨થી ૪ ટકા સુધી નીચે જઈ રહ્યો છે. જોકે, લંડન અને મિડલેન્ડ્સમાં સંખ્યા કદાચ વધતી હોઈ શકે છે. એક સંક્રમિત વ્યક્તિ અન્ય કેટલા લોકોમાં સંક્રમણ ફેલાવી શકે તેનો દર R હાલ ૦.૭થી ૦.૯ની વચ્ચે છે. ગર એકથી ઓછો હોય તેનો અર્થ રોગચાળો ધીમે ધીમે શમી રહ્યો હોવાનું કહેવાય છે. યુનિવર્સિટી ઓફ નોટિંગહામના પ્રોફેસર કિથ નીલે જણાવ્યું હતું કે કેસીસની સંખ્યા ઘટતી જાય તેમ દરેકના માથે જોખમ પણ ઘટતું જાય.
કોરોના રોગચાળાની શરુઆત થઈ તે પછી સૌપ્રથમ વખત ઈંગ્લેન્ડના સૌથી મોટા હોસ્પિટલ ટ્રસ્ટ યુનિવર્સિટી હોસ્પિટલ્સ બર્મિંગહામ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં એક પણ વાઈરસ પેશન્ટ નથી. આ ટ્રસ્ટ બર્મિંગહામની સૌથી મોટી ક્વીન એલિઝાબેથ હોસ્પિટલ સહિત ચાર હોસ્પિટલનું સંચાલન કરે છે. ટ્રસ્ટની હોસ્પિટલોમાં માત્ર ૪૩ ‘એક્ટિવ કોવિડ’ દર્દી સારવાર હેઠળ છે. ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ડો. ડેવિડ રોસ્સેરે જણાવ્યું હતું કે કોરોના વાઈરસથી સંક્રમિત પેશન્ટ્સ અગાઉ જેટલી ગંભીર હાલતમાં નથી.