દક્ષિણ ગુજરાતના ચિખલી તાલુકાના મલીયાધરા ગામે જન્મેલા અને બર્મિંગહામના પેરીબાર ખાતે રહેતા શ્રી વલ્લભભાઇ પ્રાગજીભાઇ સોલંકી ગત ૧૨મી તારીકે ૧૦૧ વર્ષના થયા છે. પિતા પ્રાગજીભાઇ અને માતા પ્રેમીબેનના પુત્ર વલ્લભભાઇ પટેલે માત્ર બે ચોપડી સુધીનો જ અભ્યાસ કર્યો હતો. પરંતુ આપબળે મહેનત, મજૂરી અને વેપાર કરીને આગળ આવ્યા હતા.
તેઅો ૨૫ વર્ષના હતા ત્યારે બીજા વિશ્વ યુધ્ધ વખતે જહાંજમાં બેસીને મોમ્બાસા ગયા હતા અને ત્યાંથી કમ્પાલા અને છેલ્લા મસાકામાં સ્થાયી થઇ દુકાન કરી હતી. ૧૯૪૯માં જેલીબેન ઉર્ફે જયાબેનને પરણેલા વલ્લભભાઇ સતત તકલીફો અને મુશ્કેલીઅો સામે દીવાની જેમ ઝુઝતા રહ્યા. પરંતુ છતાં સાચા વૈષ્ણવની જેમ લોકોની પીડા જાણી મદદ કરતા રહ્યા છે. વલ્લભભાઇ નિયમીત 'ગુજરાત સમાચાર' વાંચતા અને હંમેશા રાજકીય તેમજ અન્ય બાબતોની ચર્ચામાં ભાગ લેતા હતા. આજકાલ ઉંમરના કારણે તેમને અોછું દેખાય છે પણ તેમ છતાં ટીવી રેડિયો પર સમાચાર સાંભળે છે. તેમને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા મહારાણી એલીઝાબેથે પણ જન્મ દિનનું શુભેચ્છા કાર્ડ મોકલ્યુ હતું.
હાલમાં જ વેલેન્ટાઇન ડે ગયો છે ત્યારે એક વાતનો ખાસ ઉલ્લેખ કરવાનો કે ૧૦૧ વર્ષના વલ્લભભાઇ આજે પણ તેમના પત્ની જયાબેનનો ખૂબજ સરસ રીતે ખ્યાલ રાખે છે. વલ્લભભાઇ અત્યારે તેમના નાના પુત્ર મહેશભાઇ અને પુત્રવધૂ ગીતાબેન સાથે રહે છે.
પૂ. વલ્લભભાઇને તેમની ૧૦૧મી વર્ષગાંઠ પ્રસંગે અને તેમના પત્ની જયાબેનને લગ્નની ૬૫મી વર્ષગાંઠ પ્રસંગે શુભકામનાઅો.