લંડનઃ ૩૯ વર્ષ અગાઉ થયેલી પુત્ર વિશાલની હત્યાના કેસમાં બીબીસી દ્વારા તપાસને પગલે પિતા વિશમ્ભર મેહરોત્રાએ પોલીસ સમક્ષ ફેરતપાસની માગણી કરી હતી. ૧૯૮૧માં આઠ વર્ષીય વિશાલ વેસ્ટ લંડનમાંથી ગૂમ થયો હતો અને સાત મહિના પછી તેનું કંકાલ મળી આવ્યું હતું. વિશમ્ભરે જણાવ્યું હતું કે બાળ યૌનશોષણના ગુનેગારોના ઈન્ટરવ્યુ સહિત બીબીસીએ મેળવેલી માહિતી આ મામલે ‘મોટો ઘટસ્ફોટ’ છે. જોકે, સસેક્સ પોલીસે તેનું મહત્ત્વ ન હોવાનું જણાવીને ફેરતપાસની કોઈ યોજના ન હોવાનું કહ્યું હતું. મેહરોત્રાએ જણાવ્યું હતું, ‘પોલીસની વાતથી મને આશ્ચર્ય અને આઘાત લાગ્યો છે. પોલીસ આ મામલો દબાવી દેવા માગતી હોય તેમ લાગે છે.’
પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયના સ્પેન્સરના લગ્નના દિવસથી એટલે કે ૨૯ જુલાઈ, ૧૯૮૧થી વિશાલ લાપતા થયો હતો. પુતનીમાં રહેતો વિશાલ પરિવાર સાથે સેન્ટ્રલ લંડનમાં પરેડ જોવા ગયો હતો અને ઘરે પાછા ફરતી વખતે તે ગુમ થયો હતો. તે પછીના વર્ષે હેમ્પશાયર-વેસ્ટ સસેક્સની સીમા પર રોગેટના એક ફાર્મમાં કીચડમાંથી તેનું કંકાલ મળી આવ્યું હતું.
૧૯૮૩માં થયેલા ઈન્ક્વેસ્ટમાં વેસ્ટ સસેક્સ કોરોનર માર્ક કેલ્વર્ટ લીએ જાહેર ચુકાદામાં તેની હત્યા કરાઈ હોવાની શક્યતા દર્શાવી હતી. વિશાલની હત્યા વિશે ઈંગ્લેન્ડના સાઉથ ઈસ્ટની એક સ્કૂલમાં બાળયૌન શોષણના ગુનાસર જેલ ભોગવી રહેલા ત્રણ આરોપીની ૨૦૧૯માં પૂછપરછ કરાઈ હોવાને સસેક્સ પોલીસે સમર્થન આપ્યું હતું. તેમાંથી એકે યુકેમાં એશિયન બાળકોની સંભાળ વિશે ‘વિશાલ’ શીર્ષક સાથે ગુપ્ત અહેવાલ લખ્યો હતો. આમ છતાં, સસેક્સ પોલીસે વધુ તપાસની યોજના ન હોવાનું જણાવ્યું હતું.