લંડનઃ યુકેમાંથી સ્કોટલેન્ડને અલગ પાડવાની નિકોલા સ્ટર્જનની યોજનાને ભારે ધક્કો પહોંચ્યો છે. ધ સર્વેશન પોલના તારણો અનુસાર ૫૯ ટકા સ્કોટ લોકો યુનાઈટેડ કિંગ્ડમમાં જ રહેવા ઈચ્છે છે. જ્યારે, ૨૦૨૦માં બીજો જનમત લેવાની સ્ટર્જનની યોજનાને માત્ર ૨૫ ટકાએ ટેકો આપ્યો છે.
સપ્ટેમ્બર ૧૨થી ૧૬ દરમિયાન પુખ્ત વયના ૧૦૦૩ સ્કોટિશ લોકોને ધ સર્વેશન પોલમાં આવરી લેવાયા હતા. તેમને સ્કોટલેન્ડે યુનાઈટેડ કિંગ્ડમમાં રહેવું જોઈએ કે તેને છોડવું જોઈએ તેવો પ્રશ્ન પૂછાયો હતો. ૫૯ ટકા લોકોએ યુનિયનમાં રહેવાનો મત દર્શાવ્યો હતો, જે ૨૦૧૪ના રેફરન્ડમ કરતા વધુ છે. બહુમતી સ્કોટિશ લોકો ૩૧૨ વર્ષ જૂની ભાગીદારી તોડવા માગતા નથી. આ લોકોનું કહેવું છે કે સ્વતંત્રતાની સાથે આવનારી અરાજકતાને બ્રેક્ઝિટથી જોઈ શકાય છે.
સ્કોટિશ નેશનાલિસ્ટ પાર્ટી માટે આ પોલ ધક્કા સમાન છે. માત્ર ચારમાંથી એક વ્યક્તિએ બીજો જનમત યોજવાની ફર્સ્ટ મિનિસ્ટરની યોજનાને ટેકો આપ્યો છે. નવા જનમતથી દેશ વધુ વિભાજિત થશે તેમ બહુમતી લોકો માને છે. જે લોકોએ જનમતમાં યુકેથી અલગ થવા હા પાડી હતી તેમાંથી ૩૬ ટકા જેટલા લોકોએ તેમની માન્યતા બદલી છે અને હવે ૨૦ ટકા લોકો જ યુકેથી અલગ થવા માગે છે.
ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જનનો દાવો છે કે ભાવિ સામાન્ય ચૂંટણીમાં SNPની ભારે સફળતાથી બીજા જનમત સામેનો લોકોનો વિરોધ ધોવાઈ જશે. તેઓ આગામી વર્ષના ઉત્તરાર્ધમાં રેફરન્ડમ લેવા માગે છે. જોકે, પોલ અનુસાર ૧૮ મહિનામાં બીજો સ્કેઝિટ (Scexit) રેફરન્ડમ યોજાવો જોઈએ તેમ માનનારા માત્ર ૨૭ ટકા જ છે. કન્ઝર્વેટિવ અને લિબરલ ડેમોક્રેટ્સ બીજા જનમતનો વિરોધ કરી રહ્યા છે.