મુક્ત ન્યાયી અને નિર્ભયી ચૂંટણીઓ લોકશાહીનો પાયો છે. બ્રિટન સૌથી લાંબી અને આપણા માટે સૌથી તરવરતી લોકોની ડેમોક્રેસી છે. મતાધિકારનો ઉપયોગ એ માત્ર આપણો અધિકાર નથી, તે આપણી ફરજ અને જવાબદારી પણ છે. આખરે તો આપણે જેને લાયક હોઈએ અને જેનો નિર્ણય કરીએ તેવી જ સરકાર આપણને મળે છે. અગાઉ કદી ‘એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર’ને અમારા વાચકો તબક્કે આટલા બધા મંતવ્યો અને અભિપ્રાયો મળ્યા નથી. અમે તેઓ સહુના આભારી છીએ. વર્તમાન ચૂંટણી કોઈ બંધારણીય જરૂરિયાતને કારણે નથી. પરંતુ ગત ત્રણ વર્ષમાં આપણા બે વડા પ્રધાનોના નિર્ણયોના કારણે થઈ રહી છે. હવે પાછા વળીને સામાન્ય ચૂંટણીઓ, રેફરન્ડમ અને તત્કાળ ચૂંટણીના લાભ અને ગેરલાભનું વિશ્લેષણ કરવું અર્થહીન છે.
બ્રિટિશ ભારતીયો/એશિયન મતદાર મંડળોએ ગત છ દાયકામાં વિવિધ ચૂંટણીઓ જોઈ છે અને તેમાં ભાગ પણ લીધો છે. આ વખતે કદાચ આપણા મતદારો વધુ સાવધ છે અને તેમના મતના મહત્ત્વ વિશે વધુ જાગૃત છે. ૨૦૧૦ અને ૨૦૧૫ની ચૂંટણીઓમાં બ્રિટિશ ભારતીય મતદારો ખાસ કરીને હિન્દુ, શીખ અને જૈન મતદારોએ નિર્ણાયક ભૂમિકા ભજવી હોવાનું નિષ્ણાતો જણાવે છે.
યુકેમાં ત્રણ મુખ્ય રાજકીય પક્ષોએ પોતાના ચૂંટણી મેનીફેસ્ટોમાં તેમની નીતિઓ અને યોજનાઓ રજૂ કરેલી છે. નિશ્ચિતપણે તેમાં વ્યાપક તફાવતો અને વિરોધાભાસ પણ છે. મુખ્ય બે હરીફોના શિરે નીતિઓની વાસ્તવિક અને પ્રમાણિક રજૂઆતનો ભારે બોજો અથવા જવાબદારી રહેલ છે. આપણે વિવિધ ઇન્ટરવ્યૂ અને ચર્ચાઓમાં તેમની જાહેરાતો પણ જોઈ છે. વાચકો ગમે તેટલા વિન્રમ હોય છતાં તેઓ સત્ય પારખી શકે છે. તેઓ વાસ્તવિક વચનોને આવકારે છે અને કલ્પનાદર્શી હંબગ જોઈને ભય પણ પામે છે.
અમારા મતે શ્રેષ્ઠ અભિગમ રાજકીય પક્ષોના બદલે ઉમેદવારો પર ધ્યાન રાખવાનો છે. આ મત કદાચ સારો ન જણાય પરંતુ આખરે તો ચૂંટાયેલા સાંસદો જ પક્ષોને સત્તા આપે છે એટલું જ નહીં ભવિષ્યની પ્રવૃત્તિઓના માર્ગનું પ્રતિબિંબ પાડવા માટે પૂરતાં સ્રોત પણ પૂરાં પાડે છે
‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ માને છે કેઃ
• આપણો દરેક મત મહત્ત્વ ધરાવે છે. દરેક મતદારે તેમની પસંદગીના પક્ષને મત આપવો જોઈએ અને વધુ મહત્ત્વ તો પોતાની પસંદગીના ધોરણોમાં લાયક ઠરતા હોય તેવા ઉમેદવારને મત આપવો જોઈએ.
• શું આ ઉમેદવાર સક્ષમ છે? તેમનું વિશેષ કૌશલ્ય શું છે?
• પૂર્વ MP અથવા નવોદિત રાજકારણી તરીકે તમારા મત અથવા અનુભવમાં તેમનો મુખ્ય હેતુ સેવા છે કે કોઈપણ હિસાબે સત્તાપ્રાપ્તિનો છે.
• આપણા પ્રતિનિધિઓ મહેનતો પ્રમાણિક જવાબદાર તેમ જ કોઈપણ અહંકાર વિના અને યોગ્ય ધ્યાન સાથે કામ કરી આપનારા હોવા જોઈએ.
• શું ઉમેદવાર અથવા રાજકીય પક્ષ આપણા મૂલ્યો એટલે કે સંસ્કૃતિ, આસ્થા અને પરંપરાઓને ધ્યાનમાં લે છે ખરાં?
ત્રણ મુખ્ય પાર્ટીઓ ‘ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા’નું છત્ર ધરાવે છે. જ્યાંથી તેઓ ખોટા બેજવાબદાર અને ગેરમાર્ગે દોરતાં આક્ષેપો અથવા પાર્લામેન્ટની અંદર અથવા બહાર ભારત વિરુદ્ધ ખોટા દાવાઓ કરે છે?
ઘણા વાચકોએ ખાનગી મિટીંગની ચાર દિવાલોમાં અલગ કહે છે અને બહાર અલગ બોલે છે તેવા MP's સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમનામાં કોઈ સાતત્ય અથવા દૃઢ નિશ્ચયનો અભાવ જણાય છે.
એક મતદાર તરીકે તમારે નવા કે જૂના ઉંમેદવારના જાહેર જીવનની રૂપરેખા પર નજર નાખવી જોઈએ. કેટલાક પત્રલેખકોએ યોગ્ય અને અપ્રતીતિકર આંકડાકીય વિગતો વિના જાહેર કરાયેલી નીતિઓ બાબતે ભારે અંતર હોવાનું દર્શાવ્યું છે જેમાં અસ્પષ્ટ અને ખોટા વચનોની ગંધ આવે છે.
તમારે મત આપવો જ જોઈએ, કાળજીપૂર્વક આપવો જોઈએ કારણ કે દરેક મતનું મહત્ત્વ છે. ગ્રેટ બ્રિટન આપણું ઘર છે ભારતીય ઉપખંડના આપણે મતદારો કોઈ વિશેષ તરફેણ કે લાભ માગતા નથી પરંતુ જે આપણા મૂલ્યોનું જતન કરે તેમજ પોતાના સંકીર્ણ રાજકીય હેતુ માટે થઈને આપણને બદનામ ન કરે તેવાને જ સમર્થન આપવાની જરૂર છે.


