લંડનઃ સૃષ્ટિના સર્જનહાર ગણાયેલા અને હિન્દુ સંસ્કૃતિના ‘ત્રિદેવ’માં એક બ્રહ્માજીને બિયરના વિજ્ઞાપન સાથે સાંકળવાથી વ્યથિત હિંદુઓએ લ્યુવન (બેલ્જિયમ)માં મુખ્યમથક ધરાવતા વિશ્વના સૌથી મોટા બ્રુઅર એન્હ્યુઝર હુ ઈન્બેવ (Anheuser-Busch InBev)ને તેની લોકપ્રિય બ્રાન્ડ ‘બ્રહ્મા’ બિયરને અયોગ્ય ગણાવીને તેનું નામ બદલવા અનુરોધ કર્યો હતો.
હિંદુ રાજનેતા રાજન ઝેડે નેવાડા (અમેરિકા)માં એક નિવેદનમાં જણાવ્યું હતું કે સૃષ્ટિના સર્જક ભગવાન બ્રહ્મા હિંદુ ધર્મમાં ખૂબ પૂજનીય છે. તેઓ મંદિરો અથવા ઘરના પૂજાસ્થાનમાં પૂજવા લાયક છે. તેઓ વ્યાપારિક લાલચ માટે અથવા ટોસ્ટિંગના સાધન તરીકે વેચાતા કોઈ બિયર ન હોઈ શકે.
યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમના પ્રેસિડેન્ટ રાજન ઝેડે જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિમાં સૃષ્ટિના પાલનહાર વિષ્ણુ અને સંહારક દેવ શિવજી સાથે ‘ત્રિદેવ’માં એક ભગવાન બ્રહ્માને આલ્કોહોલિક પીણાં સાથે સાંકળવા એ તેમનું અપમાન છે. એન્હ્યુઝર હુ ઈન્બેવએ ધાર્મિક વિનિયોગ, પવિત્રતાભંગ અને સમગ્ર કોમ્યુનિટીની હાંસી ઉડાવવાની કામગીરી કરવી જોઈએ નહિ. હિંદુ ધર્મગ્રંથો અથવા દેવી-દેવતાઓ અથવા પ્રતીકોનો ઉપયોગ કોમર્શિયલ અથવા અન્ય હેતુસર થાય તે યોગ્ય નથી કારણકે તેનાથી હિંદુઓની લાગણી દુભાય છે. વધુમાં, ભગવાન બ્રહ્માજી સાથે સંકળાયેલી પવિત્રતા બ્રહ્મા બિયરની કોમર્શિયલ્સ અને એડ્સ સાથે બંધબેસતી નથી. રાજન ઝેડે ઉમેર્યું હતું કે હિંદુ ધર્મ સૌથી પ્રાચીન ધર્મો પૈકીનો એક ધર્મ છે અને વિશ્વભરમાં તેના ૧.૧ બિલિયન જેટલા અનુયાયી છે. હિંદુ ધર્મમાં તત્ત્વચિંતનના સમૃદ્ધ વિચારો છે. તેને નજરઅંદાજ કરી શકાય નહિ.
બ્રાઝિલમાં રહેતા સ્વીસ ઈમિગ્રન્ટ જોસેફ વિલેજરે ૧૮૮૮માં બ્રહ્મા બિયરનું ઉત્પાદન કર્યું હતું. સમગ્ર બ્રાઝિલમાં બિયર નં.૧ તરીકે પ્રખ્યાત બ્રહ્મા ફેમિલી ઓફ બિયર્સમાં ચોપ, ડબલ માલ્ટ, વેઈસ, રેડ લેગર, લેગર, ચોપ ક્લેરો, ચોપ બ્લેક અને માલ્ઝ બિયર જેવા આઠ પ્રકારના બિયર્સ છે. હોલિવુડની પ્રખ્યાત સેલિબ્રિટીઝ મેગન ફોક્સ અને જેનીફર લોપેઝે ‘બ્રહ્મા’ બિયરની જાહેરાતોમાં કામ કર્યું છે.