અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજ પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા માટે તડામાર તૈયારી ચાલી રહી છે. ભક્તજનોમાં અનેરો ઉમંગ-ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. એકમ, બીજ અને ત્રીજના દિવસ માટેના ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાનાં વાઘા અને પાઘ બનીને તૈયાર થઈ ગયાં છે. આ વખતે ભગવાન જગન્નાથ ત્રણ છોગાવાળી પાઘ સાથે ભક્તોને દર્શન આપશે.
હેલિકોપ્ટરથી નજર
રથયાત્રાની સુરક્ષાને લઈને સમગ્ર શહેરની પોલીસ સજ્જ બની ગઈ છે. સાથે સાથે જ રાજ્યના અન્ય શહેરોમાંથી અનુભવી અધિકારીઓ અને પોલીસ જવાનોને બંદોબસ્ત માટે તેડાવવામાં આવ્યા છે. સમગ્ર યાત્રાને હેમખેમ પાર પાડવા માટે હાઇટેક સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરાયું છે.
સમગ્ર વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદના સેક્ટર-1 જોઇન્ટ પોલીસ કમિશનર સહિત બે આઇપીએસ અધિકારીઓએ શનિવાર સવારે રથયાત્રાના સમગ્ર રૂટ પર હેલિકોપ્ટરથી સર્વેલન્સ કર્યું હતું. જેમાં રૂટ પરના ધાબા પોઇન્ટ ક્યાં આવેલાં છે અને ત્યાંથી કેટલા એરિયા સુધી નજર રાખી શકાય છે તેની માહિતી મેળવી હતી. પોલીસે ફ્લેગ માર્ચ યોજીને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું.