ગાંધીનગરઃ મુખ્યમંત્રી કાર્યાલય - સીએમઓમાં છેલ્લા 18 વર્ષથી કાર્યરત 71 વર્ષના મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથનને શનિવારે સાંજે નિવૃત્તિ વિદાયમાન અપાયું હતું. રિટાયર્મેન્ટ પછી 11 એક્સ્ટેન્શન સાથે 4 મુખ્યમંત્રીની સાથે ગુજરાત સરકાર માટે કાર્યરત્ કે. કૈલાસનાથન સરકારના ‘સંકટમોચક’ તરીકેની ઓળખ ધરાવતા હતા. કૈલાસનાથને વધતી ઉમરને કારણે લાંબા સમયથી CMOમાં કાર્ય અને ફરજમાંથી મુક્તિ માટે ઇચ્છા પ્રગટ કરી હતી. આથી મુખ્યમંત્રીએ વર્ષના આરંભે તેમને લોકસભા ચૂંટણી સુધી એટલે કે 30મી જૂન સુધીનું 6 મહિના માટેનું એક્સટેન્શન આપ્યું હતું. અલબત્ત અન્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેઓ સરદાર સરોવર નર્મદા નિગમમાં ચેરમેન અને સાબરમતી ગાંધી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ હેઠળ ગાંધી આશ્રમ ડેવલમેન્ટ ઓથોરિટીની કમિટીના ચેરમેન તરીકે એક્ટિવ રહેશે તેમ જાણવા મળે છે.