અયોધ્યા: અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા વચ્ચે અખિલ ભારતીય ઈમામ સંગઠનના પ્રમુખ અહમદ ઇલિયાસીએ કહ્યું હતું કે હવે આપણે સૌએ મળીને માનવતાને જાળવી રાખવાની છે, આપણે સૌ ભારતીય છીએ તેથી હવે આપણે ભારતને મજબૂત બનાવવાની દિશામાં કામ કરવું જોઇએ, આપણા માટે રાષ્ટ્ર સર્વોપરિ હોવું જોઈએ. આજનો આ સંદેશો નફરતને ખતમ કરવા માટે છે.
અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ થયેલા અખિલ ભારતીય ઇમામ સંગઠનના મુખ્ય ઇમામ ડો. ઈમામ ઉમર અહમદ ઇલિયાસીએ કહ્યું હતું કે આ નવા ભારતનો ચહેરો છે, આપણો સૌથી મોટો ધર્મ માનવતા છે. આપણા માટે રાષ્ટ્ર પહેલા છે. આપણી આસ્થાઓ જરૂર અલગ હશે પણ આપણો સૌથી મોટો જે ધર્મ છે તે છે માનવતા.
તેમણે વધુમાં કહ્યું કે આપણે સૌ ભારતમાં રહીએ છીએ તો રાષ્ટ્ર આગળ વધે તે દિશામાં મળીને કામ કરીએ. અખંડ ભારત બનાવવાની દિશામાં આગળ આવવાની જરૂર છે, હું અયોધ્યામાં પૈગામ-એ-મહોબ્બત લઈને આવ્યો છું, આજે મારી સાથે જે ઉભા છે તે સ્વામી છે, આ જ છે ભારત. આપણી પૂજા પદ્ધતી, ઇબાદત અલગ હોઈ શકે પણ આપણે બધાએ મળીને માનવતા માટે કામ કરવાનું છે.