૩૦ સપ્ટેમ્બરે જાહેર થયેલ રાજપત્રિત અધિસૂચના (ગેઝેટ) મુજબ ભારતીય મૂળના તમામ લોકો માટે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન (પીઆઇઓ) કાર્ડ હવે ૧૫ વર્ષના બદલે આજીવન માન્ય ગણાશે.
આ અધિસૂચના દ્વારા વડા પ્રધાન મોદીની જાહેરાતનો અમલ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે, પીઆઇઓ કાર્ડધારકને ભારતના આજીવન વિઝા મળશે. વડા પ્રધાને જાહેરાત કરી હતી કે, પીઆઇઓ કાર્ડ ધારકને પોલીસમાં રીપોર્ટ કરવામાંથી પણ મુક્તિ મળશે. આ પછી ગૃહ મંત્રાલયે ૩૦ સપ્ટેમ્બરે જાહેર કરેલ ગેઝેટમાં સૂચના આપી છે કે, ભારતમાં ૧૮૦ દિવસથી વધુ સમય વિતાવ્યા પછી પણ પીઆઇઓ કાર્ડધારકને પોલીસ સ્ટેશનમાં રીપોર્ટ કરવાની જરૂર નહીં રહે.
વડા પ્રધાન મોદીની વધુ એક જાહેરાતને પૂર્ણ કરતા એમ્બેસી અને કોન્સ્યુલેટ્સને સૂચના આપવામાં આવી છે કે, અપવાદના કેટલાક કિસ્સાને બાદને કરીને અમેરિકાના નાગરિકોને સામાન્ય રીતે ૧૦ વર્ષના વિઝા આપવા જોઇએ. અમેરિકાના પ્રવાસીઓને ‘વિઝા ઓન અરાઇવલ’ આપવાનું ઓક્ટોબરમાં જ શરૂ થઇ ગયું છે. ગૃહ મંત્રાલય, પીઆઇઓ અને ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) યોજનાઓને એક કરીને નવી યોજના બનાવી રહ્યું છે.