નારીકથાનો પ્રારંભ કરાવતા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ‘સમાજમાં આ પ્રકારના લોકજાગૃતિ આધારિત વિષયોની તાતી જરૂરત છે. સમાજમાં પ્રવર્તતી સમસ્યાઓ અંગે લોકજાગૃતિ આણવા વિવિધ પ્રયાસો થાય છે, જેમાં ૧૦ વર્ષ પહેલાં ઉત્તર ગુજરાતમાં વૃક્ષકથાની શરૂઆત થઈ હતી. આજે નારીકથા થકી નારીનું સન્માન ગૌરવ જાળવવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો છે.’
આ પ્રસંગે નારી કથાકાર ડો. ટીના દોશીએ જણાવ્યું હતું કે નારીકથાનો વિચાર પ્રાચીનકાળની સ્ત્રીઓના વ્યક્તિત્વો ઉપરથી આવ્યો છે.
આ સ્ત્રીઓ બિચારી બાપડી નહોતી. તેઓ શિક્ષિત અને સશક્ત હતી. નારીકથા પ્રચલિત અને નારીવાદથી પ્રેરાયેલી નથી. નારીની વેદના અને વ્યથાની કથા નથી, પરંતુ તેના આત્મવિશ્વાસ અને આત્મસન્માનની કથા છે. આ પ્રસંગે ટીના દોશી દ્વારા લિખિત ભારતીય મહિલા વિશ્વકોશનું વિમોચન શિક્ષણ પ્રધાનના હસ્તે કરાયું હતું. પુસ્તકમાં નારીની સાત વિભૂતિઓની તેમ જ નારીસન્માન અંગે વિશેષ ચર્ચા કરાઇ છે.