તેમણે અહીં રહેતા દીવના લોકોને મળી રોજગારી સહિતની માહિતી મેળવી હતી અને બીજા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
• યુકેવાસી પરિવાર દ્વારા રાજપરામાં ધર્મકાર્યઃ જામદેવળિયા પંથકના રાજપરા ગામે કાંતિલાલ વિઠ્ઠલજી ભોગાયતા પરિવાર(યુકે) દ્વારા બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ સમસ્ત દ્વારા ૨થી ૧૦ જાન્યુઆરી દરમિયાન રામ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠે દિલીપભાઈ એ. પંડ્યા કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથામાં દરરોજ ઉપસ્થિતોને મહાપ્રસાદ આપવામાં આવે છે.
• ગાયોને ઘાસચારો ખવડાવીને ઈદની ઉજવણીઃ વાંકાનેરનાં ચંદ્રપુર ગામે મુસ્લિમ સમાજ દ્વારા ૪ જાન્યુઆરીએ ઈદ-એ-મિલાદની પ્રેરણાદાયી ઉજવણી થઈ હતી. જેમાં ગાયોને ૩૦ મણ ઘાસચારો તથા વૃધ્ધાશ્રમમાં ફળનું વિતરણ કરાયું હતું. હ. મહંમદ પેયગમ્બરસાહેબના જન્મદીનની મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરાઈ હતી ત્યારે વાંકાનેર પાસેનાં ચંદ્રપુર ગામની મદીના-મસ્જીદનાં ઈમામ ફૈઝુલાબાવા (ગોંડલવાળા) ઉંમરમાં નાના હોવા છતાં તેમના સારા વિચારો સ્થાનિકોમાં ખૂબ સારો સંદેશો આપે છે.
• દ્વારકામાં એરસ્ટ્રીપ બનાવવા માટે જમીન સંપાદન કરાઈઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ તાજેતરમાં તીર્થધામ દ્વારકાની મુલાકાતે હતા. દ્વારકામાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ અને મહાવિષ્ણુ યાગના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દ્વારકામાં એરસ્ટ્રીપ બનાવાશે. તે માટે જરૂરી જમીન પણ સંપાદન કરી લેવાઈ છે. આ એરસ્ટ્રીપનું કામ પૂર્ણ થતાં ભવિષ્યમાં દેશ-વિદેશના યાત્રાળુઓ વિમાન દ્વારા સીધા જ દ્વારકા આવી શકશે. બાદમાં મુખ્ય પ્રધાને ભગવાન દ્વારિકાધીશના ભક્તિભાવપૂર્વક દર્શન કરી પૂજા-અર્ચન કર્યા હતા.