પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ

Wednesday 07th January 2015 09:32 EST
 
 

તે વિદેશવાસી ભારતીયોની બાબતો અને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ૧ જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે ગાંધીનગરમાં ધામાં નાખીને સમગ્ર આયોજનની સમીક્ષા કરી હતી. આ કાર્યક્રમ માટે અમદાવાદ અને ગાંધીનગરના મુખ્ય માર્ગો, વિવિધ સરકારી ઇમારતોને નવોઢાની જેમ શણગારવામાં આવી છે. આ સમારોહનું ઉદ્ધાટન ૮ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે, જ્યારે સમાપન ૯ જાન્યુઆરીએ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી દ્વારા થશે. ઉલ્લેખનીય છે કે દર વખતે સમાપનમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહે છે પરંતુ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ આવશે નહી.
નવ મુખ્ય પ્રધાન આવશે
આ ઉજવણી પ્રસંગે પાંચથી સાત હજાર મહેમાનો ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે. બિનનિવાસી ભારતીય, બિનનિવાસી ગુજરાતી ઉપરાંત વિવિધ રાજ્યના મુખ્ય પ્રધાનોને પણ આ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં નવ રાજ્યના મુખ્ય પ્રધાન આવશે તે નક્કી થઇ ગયું છે. ઉત્તર પ્રદેશ પ્રવાસી ભારતીય દિવસના પ્લેટફોર્મનો પૂરો ઉપયોગ કરીને યુપીની ક્રિમિનલ સ્ટેટ તરીકેની ઇમેજ મનાય છે તેને દૂર કરવાનો પ્રયાસ કરશે. યુપીમાં કેવા પ્રકારની માળખાકીય સુવિધા ઉપલબ્ધ છે અને કેવા પ્રકારનું વાતાવરણ છે તેનો પ્રચાર કરાશે. મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ પણ પ્રવાસી ભારતીય દિવસના અંતિમ દિવસે ગુજરાતમાં આવશે તેમ યુપીના માહિતી પ્રસારણ વિભાગના ડિરેકટર આશુતોષ નિરંજને જણાવ્યું હતું.
ગાંધીના ગીતો ગુંજશે
આ ઉજવણી નિમિત્તે સાબરમતી નદીને તીરે સાબરમતીના સંત ગણાતા મહાત્મા ગાંધીજીની યાદમાં અનેરો કાર્યક્રમ વિદેશવાસી ભારતીયો સમક્ષ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ૯ જાન્યુઆરીએ રજૂ કરાશે. રાજય સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા ‘સાબરમતી કે સંત’ની થીમ પર ૪૫ મિનિટનો ડોક્યુડ્રામા ભજવાશે. તે સાથે બેંગ્લોરના ગ્રૂપનું બેલે ક્લાસિકલ પણ રજૂ થશે. ૮મીએ કાંકરિયાના પાળે નવરંગ ભારતની થીમ પર એક કલાકનો લોકનૃત્યનો કાર્યક્રમ પણ એનઆરઆઇ માટે યોજાશે, જેમાં વડા પ્રધાન સહિતના મહાનુભાવો હાજર રહેશે. આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, આસામ, પંજાબ, છત્તીસગઢ, નાગાલેન્ડ, સિક્કીમ, કેરલ, આસામ અને ગુજરાતના લોકનૃત્યની ઝલક દર્શાવાશે. ગુજરાતમાં જ આ કાર્યક્રમ હોવાથી ગાંધીજી વિશે અનેક માહિતી સાથે રસપ્રદ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં ગાંધીજીની ઐતિહાસિક દાંડી કૂચ, રોલેટ એક્ટનો વિરોધ, હિન્દ છોડો ચળવળ અને તેમના સ્વાતંત્ર્ય સંગ્રામને વણી લેતા અન્ય મહત્વના પ્રસંગો સાથે સાબરમતી કે સંત નામની ૪૫ મિનિટનું ડોક્યુડ્રામા ભજવાશે. સંખ્યાબંધ કલાકારો સાથે હિન્દીમાં રજૂ થનારા આ કાર્યક્રમો એલઇડી સ્ક્રીન પર પણ દર્શાવાશે. તે સાથે લેઝર શો, ગાંધીજીને પ્રિય વૈષ્ણવજન ગીત રજૂ કરાશે.
NRI માટે દાંડી કુટિર આકર્ષણનું કેન્દ્ર બનશે
પ્રવાસી ભારતીય દિન ઉજવણીમાં આવનારા વિશ્વભરના પ્રવાસીઓ માટે આ વખતે સૌથી મોટું આકર્ષણ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેનો સોલ્ટ માઉન્ટ-દાંડી કુટિર બનશે. જેનું કામ મુખ્ય પ્રધાન આનંદીબહેનની સરકારમાં રેકોર્ડબ્રેક સાત મહિનાના સમયગાળામાં પૂર્ણ થયું છે. સોલ્ટ માઉન્ટની વિશાળ પ્રતિકૃતિ ગાંધીજીએ અંગ્રેજોને પડકારવા માટે કરેલા વિખ્યાત નમક સત્યાગ્રહની યાદ અપાવશે. સોલ્ટ માઉન્ટની અંદર સૌથી ઉપર ત્રીજા માળે ગાંધીજીના જન્મથી યુવાની સુધીનો સમયગાળો, બીજા માળ પર ગાંધીજીની પ્રવાસી ભારતીય જેવી દક્ષિણ આફ્રિકા-ઇંગ્લેન્ડની યાત્રા અને સંઘર્ષ તથા પહેલા માળે ભારતમાં ગાંધીજીએ છેડેલા સ્વાતંત્ર્ય જંગ પરની માહિતી મ્યુરલ થકી અપાશે જે દેશભરમાં અનોખી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દાંડી કુટિરનું ઉદ્દઘાટન પણ થશે. સોલ્ટ માઉન્ટ જેવી બિલ્ડીંગમાં ગાંધીજીના જીવન-કવન અને આઝાદીની ચળવળ વિશે માહિતી ભીંતચિત્ર દ્વારા વિશિષ્ટ રીતે મળી રહે તે ગુજરાતમાં આવનારા વિદેશીઓ માટે અનોખો રોમાંચક હશે.
હોસ્પિટલો સજ્જ
પ્રવાસી ભારતીય દિવસ અને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ નિમિત્તે દેશ-વિદેશના મહાનુભાવો ગાંધીનગર-અમદાવાદમાં આવવાના છે ત્યારે ગુજરાતના આરોગ્ય વિભાગે ખાસ મહેમાનો માટે સરકારી તેમ જ ખાનગી હોસ્પિટલના વોર્ડ રિઝર્વ રાખવાનો આદેશ કર્યો છે. સિવિલ હોસ્પિટલ તેમ જ ખાનગી હોસ્પિટલોને ૬થી ૧૩ જાન્યુઆરી દરમિયાન મહાનુભાવો માટે ડિલક્ષ ટાઈપ રૂમ, ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને જરૂરીયાત મુજબ દવાઓનો સ્ટોક હાજર રાખવા જણાવાયું છે. અમદાવાદ, ગાંધીનગર અને સોલા સિવિલ હોસ્પિટલમાં વિદેશી મહેમાનો માટે ૨૦ બેડ ધરાવતો અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે.
એસપીજી દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા
પ્રવાસી ભારતીય દિવસ તથા વાઈબ્રન્ટ સમિટમાં આવનાર વડા પ્રધાન, ઉપરાષ્ટ્રપતિ, યુએનના સેક્રેટરી જનરલ બાન કી મૂન તથા અમેરિકાના વિદેશ પ્રધાન જ્હોન કેરીની સુરક્ષાની તમામ જવાબદારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપના શિરે મુકવામાં આવી છે. આ ચારેય મહાનુભાવોની સુરક્ષા માટેની સ્કીમ પણ એસપીજી દ્વારા જ નક્કી થઇ છે. આ ઉપરાંત અમદાવાદ-ગાંધીનગરના મહત્ત્વના સ્થળોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તમામ પગલાં લેવાયા છે.
સ્માર્ટ સિટી, કૌશલ્ય વૃદ્ધિ પર ફોકસ
પ્રવાસી ભારતીય દિવસ દરમિયાન ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા નમામી ગંગા, સ્માર્ટ સિટી, કૌશલ્ય વિકાસ અને પ્રવાસન વિકાસ જેવા કાર્યક્રમોને ‘શો કેસ’ કરાશે.
સુનીતા વિલિયમ્સ પણ હાજર રહેશે
પ્રવાસી ભારતીય દિવસના આરંભે સાતમી જાન્યુઆરીએ યુથ પ્રવાસી ભારતીય દિવસ ઊજવાશે. જેમાં અમેરિકાવાસી ભારતીય અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ હાજર રહેશે.
વૈભવી ભોજન
વિદેશી ભારતીયો-ગુજરાતીઓને કાંકરિયા તળાવની પાળે ૯ જાન્યુઆરીના રોજ એક ભવ્ય રાત્રિભોજન આપવામાં આવશે. એ ભોજન કોઈ સામાન્ય ભોજન નહીં હોય, પરંતુ કોઇ ફાઈવ સ્ટાર કે સેવન સ્ટાર હોટેલનાં ભોજનને પણ ભુલાવી દે તેવું મહાભોજન કહો કે ભગવાનને ધરાવાતા મહાભોગ જેવું બની રહેશે. આમ તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અંગ્રેજોએ કરેલા અપમાનનો ઘૂંટડો ગળીને સ્વદેશ પાછા ફર્યા હતા એ દિવસની યાદમાં આ ભારતીય પ્રવાસ દિનની ઉજવણી થાય છે. પરંતુ એ ઉજવણીમાં મહાત્મા ગાંધીની સાદગી અને સાત્વિક ભોજનની પ્રતિબદ્ધતાની એકેય ઝાંખી જોવા નહીં મળે. કેમ કે ભારતીય પ્રવાસીઓના ભવ્ય સ્વાગત માટે કાંકરિયા લેક ફ્રન્ટ લાખો રૂ.ના ખર્ચે રોશનીથી ઝગારા મારતો જોવા મળશે.
ભોજન માટે ખાસ પ્રકારના ટેબલ ખુરશીઓ ગોઠવાશે. સિતાર, વીણા, વાયોલિનના મધમીઠા સૂર રેલાતા હશે જેની વચ્ચે કાંકરિયા પરિસરમાં કોઈ બસો પાંચસો નહીં પણ પૂરા પાંચ હજાર વિદેશી ભારતીયો મહાભોજન આરોગશે. આ રાત્રિ ભોજનમાં મહાનભાવો પણ ઉપસ્થિત રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ હજાર વ્યક્તિઓના ભોજન પાછળ રૂ. દોઢ કરોડ જેટલો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.


comments powered by Disqus