ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ વખતે અગાઉના તમામ વાઇબ્રન્ટ સમિટ કરતાં વધુ રોકાણના સમજૂતી કરારો કરીને ૨૦૧૫નો વાઇબ્રન્ટ ગુજરાત સફળ બનાવવા માટે લક્ષ્યાંકો નક્કી કરી લીધા છે. વીસ હજાર એકમોમાં ૧૫,૦૦૦ જેટલા કરાર મધ્યમ અને લઘુ ઉદ્યોગોની સાથે કરાશે. તેમાંની ઘણી ખરી દરખાસ્તો મળી ચૂકી છે.
આ દરખાસ્તોમાં ૧૪ જેટલાં સેક્ટરોને રોકાણ માટે પ્રાધાન્ય આપવામાં આવશે. જેમાં આ વખતે સ્માર્ટસિટી, રેલવે અને કેન્દ્ર સરકારના જાહેર સાહસોને પ્રથમ વખત ઉમેરવામાં આવ્યા છે. ઉપરાંત મેઇક ઇન ઇન્ડિયાને સૂત્રને સાકાર કરવા અને સ્કીલ ડેવલપેમેન્ટ માટે ભાર મુકવામાં આવી રહ્યો છે. ૨૦૧૧માં રૂ. ૨૦.૮૧ લાખ કરોડના રોકાણોના એમઓયુ થયાં હતા તેમાં વધારાની ધારણા છે. સૌથી વધુ ફાયદો રોજગારી ઊભી કરાશે. નાના અને લઘુ ઉદ્યોગોમાં રોજગારી વધુ મળતી હોવાથી અનેક કરાર થશે.