આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે વિશ્વમાં ધર્મની ઉપેક્ષાના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ છે ત્યારે આ સમસ્યામાંથી બહાર નીકળવા સનાતન મૂલ્યોના આધારે ભારત પાસેથી શીખ લેવી જોઈએ તેવું વિશ્વના ચિંતકો માને છે. આથી હવે ભારતને ફરી વિશ્વગુરૃ બનાવવાનો છે. પરંતુ દેશને ઊભો કરવાનો ઠેકો સંઘને આપી દેવાના બદલે સંઘની સાથે રહેવું પડશે. સમગ્ર હિન્દુસમાજે સંગઠિત અને બળ સંપન્ન થવું પડશે. જો હિન્દુ ખતરામાં આવશે તો દેશ ખતરામાં આવશે.
ત્રણ દિવસીય શિબિરમાં પંદર હજારથી વધુ સંઘના સ્વયંસેવક અને કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે ભારતનું ચિત્ર અગાઉ પરમ વૈભવ, સંપતિવાળું હતું. છતાં દુનિયાને સુખ અને શાંતિ આપવાવાળો દેશ હતો. અત્યારે વિશ્વમાં જે સમસ્યાઓ સર્જાઈ છે તે ધર્મની ઉપેક્ષા કરવાના કારણે સર્જાઈ છે. હાલની સ્થિતિ એવી છે કે દરેકને રસ્તો જોઈએ છે અને આ સ્થિતિમાં વિશ્વએ ભારત પાસે આવવું પડશે. સનાતન મૂલ્યોના આધારે ભારત પાસેથી શીખ લેવી જોઈએ તેવું વિશ્વના ચિંતકો કહેતાં આવ્યા છે.