ભાજપના દિગ્ગજો ધૂળ ચાટતા થયા

Wednesday 11th February 2015 06:45 EST
 

નવી દિલ્હીઃ ‘આપ’ના વિજયરથ નીચે ભાજપના ધૂરંધર નેતાઓ કચડાઇ ગયા છે, જેમાં પક્ષના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર અને દેશના પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી કિરણ બેદીનો પણ સમાવેશ થાય છે.
ભાજપનું ‘હુકમનું પત્તું’ મનાતા કિરણ બેદીને ચૂંટણી પૂર્વે પક્ષમાંથી જ આંતરિક વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કિરણ બેદીને પક્ષની એકદમ સલામત ગણાતી કૃષ્ણનગર બેઠક પરથી મેદાનમાં ઉતારાયા હતા, પણ તેઓ બેઠક બચાવી શક્યા નથી. ‘આપ’ના એસ. કે. બગ્ગાએ તેમને પરાજય આપ્યો છે. કૃષ્ણનગર બેઠક પરથી ભાજપના ડો. હર્ષવર્ધન પાંચ વખત ચૂંટણી જીત્યા છે.
કિરણ બેદીની જેમ જ પીઢ કોંગ્રેસી નેતા ક્રિષ્ના તીરથ પણ ચૂંટણી પૂર્વે જ પક્ષ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમણે પટેલ નગર બેઠક પરથી ભાજપનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તીરથ ખુદ આ બેઠક પરથી ચૂંટણી જીતતા રહ્યા છે, પણ આ વખતે ‘આપ’ના ઉમેદવાર હઝારી લાલ ચૌહાણે તેમને ૩૪,૬૩૮ મતે હરાવ્યા છે.
ભાજપના વરિષ્ઠ નેતા જગદીશ મુખી પશ્ચિમ દિલ્હીની જનકપુરી બેઠક પરથી વિક્રમજનક પાંચ વખત વિજય મેળવી ચૂક્યા છે, પણ આ વખતે તેમનો ‘આપ’ના ઉમેદવાર રાજેશ રિશી સામે ૨૫,૫૮૦ મતે પરાજય થયો છે.
દિલ્હી એનસીપીના ભૂતપૂર્વ પ્રમુખ રામ વીર સિંહ બીધુરી બદરપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, જેમને ‘આપ’ના નારાયણ દત્ત શર્માએ ૪૭,૫૮૩ મતે હરાવ્યા છે. બીધુરી ભૂતકાળમાં આ બેઠક ૧૯૯૩, ૨૦૦૩ અને ૨૦૧૩માં જીતી ચૂક્યા છે.


comments powered by Disqus