વિશ્વભરનાં ભોજનમાં ભારતીય સ્વાદ સર્વશ્રેષ્ઠ

Wednesday 11th March 2015 09:39 EDT
 
 

નવી દિલ્હીઃ વિશ્વભરમાં ભારતીય ભોજન અત્યંત રસપ્રદ અને શ્રેષ્ઠ સ્વાદપ્રિય હોવાનું તારણ આઈઆઈટી-જોધપુરે રજૂ કર્યું છે. આ માટે આઈઆઈટીની ટીમે વિશ્વભરના હજારો વ્યંજનોનો અભ્યાસ કર્યા બાદ આ તારણ રજૂ કર્યું છે.
આ અભ્યાસમાં ભોજનમાં ઉપયોગમાં લેવાયેલા પદાર્થો અને તેના સ્વાદનો પણ અભ્યાસ કરાયો હતો. સંશોધન દરમિયાન જણાયું હતું કે, પશ્ચિમી દેશોના શેફ રસોઈમાં વ્હીસ્કી, સફરજનનો રસ, સંતરાનો રસ અને કાચા માંસનો ઉપયોગ કરે છે અને પચાસ ટકા સ્વાદ તો આ પદાર્થોમાં જ સમાઈ જાય છે. પરિણામે પશ્ચિમી દેશોના મોટા ભાગના ભોજનનો સ્વાદ એકસરખો લાગે છે. આથી ઊલટું ભારતીય વ્યંજનમાં દરેક ભોજન બનાવવાની અલગ પદ્ધતિ અને તેનો સ્વાદ પણ અલગ હોય છે. જેનાથી દરેક ભોજનનો સ્વાદ અલગ અને તે બેમિસાલ હોય છે. સાથે જ ભારતમાં દરેક વ્યંજન બનાવવા પાછળ એક આગવો નિયમ હોય છે.
આ ઉપરાંત ભારતીય મસાલાઓમાં એલાયચી, મરચાં, આંબલી અને હળદરનો પણ વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. સંશોધન દરમિયાન જણાયું હતું કે પશ્ચિમી દેશોના ભોજનમાં વિવિધ મસાલાઓનો સ્વાદ એકબીજા ઉપર હાવી થઈ જાય છે જ્યારે ભારતીય ભોજનમાં આવું થતું નથી.


comments powered by Disqus